Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દશેરા પર્વ પહેલા ફાફડા અને જલેબીના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારોઃ ચીજ-વસ્‍તુઓના ભાવ વધતા વેપારીઓએ ભાવ વધાર્યા

સુરતની પ્રખ્‍યાત ઘારીના ભાવમાં પણ વધારો થયોઃ સુરતી ભુસુ પણ પાર્સમાં ઉપલબ્‍ધ કરાશે

અમદાવાદઃ દશેરાના પર્વ પર મીઠાઇ અને ફરસાણ ખવાય છે. દરેક ચીજ-વસ્‍તુઓના ભાવ વધતા હવે ફાફડામાં 40 રૂપિયા અને જલેબીના 30 રૂપિયા પ્રતિ કિલો પ્રમાણે ભાવ વધારો થયો છે. ફાફડાના ભાવ 500 રૂપિયા થયા છે. તેલ, ઘી, ચણાનો લોટ મોંઘા થતા વેપારીઓને ભાવ વધારો કરવાની ફરજ પડી છે.

નવલી નવરાત્રિ તેના અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે. બુધવારે દશેરાનાં પર્વની આખા ગુજરાતમાં ઉજવણી કરવામાં આવશે. દશેરાનાં દિવસે માં દુર્ગાની પૂજા, શસ્ત્ર પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં દશેરાએ ફાફડા-જલેબી આરોગવાનો ક્રમ છે. દશેરાની ઉજવમઈ જલેબી,ફાફડા વગર અધૂરી છે. લગભગ દરેક ઘરમાં તે ખાવાની વર્ષોની પરંપરા રહી છે. દશેરાનાં દિવસે લોકો ખાસ જલેબી, ફાફડાં ખાસ મંગાવે છે. ત્યારે આ વર્ષે દશેરાના પર્વ પર ફાફડા જલેબી ખાવા મોંઘા પડશે. લગભગ દરેક શહેરમાં ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે.

અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. માર્કેટમાં હાલ 1 કિલો ફાફડાનો ભાવ 600 થી લઈને 1000 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. તો પ્રતિ કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા સુધી થયો છે. આ ભાવ વધારા વચ્ચે પણ ગુજરાતીઓ ફાફડા-જલેબીનો સ્વાદ માણે છે.

દશેરાના દિવસે ગુજરાતના દરેક શહેરમાં કરોડોના ફાફડા જલેબી આરોગવામાં આવે છે. જેમાં સુરતીઓ તો અવ્વલ છે. સુરતીઓ આ વર્ષે કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગશે. સુરતમાં ભાવ પર એક નજર કરીએ તો, ફાફડામાં રૂપિયા 40 નો વધારો થયો છે. ભાવ વધારા સાથે ફાફડાનો નવો ભાવ 480 રૂપિયા છે. તો જલેબીમાં 30 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જલેબીનો નવો ભાવ 500 રૂપિયા કિલો છે. આ ભાવ વધારા વિશે સુરતના વેપારીઓએ જણાવ્યું કે, આ વર્ષે તેલ, ઘી, ખાંડ, ચણાના લોટના ભાવમાં વધારો થયો છે. તેથી ફાફડા-જલેબી પણ મોંઘા થયા છે. જેને કારણે આ વર્ષે એડવાન્સ ઓર્ડર પણ ઓછા મળ્યાં છે.

દશેરાની સાથે સુરતમાં ચાંદની પડવાને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પણ સુરતમાં શરદ પૂનમે કરોડો રૂપિયાની ઘારી ખવાશે. ફાફડા-જલેબીની સાથે આ વર્ષે ઘારીના ભાવમાં પણ વધારો થયો છે. સુરતની ઘારી તો વિદેશો માટે પણ પાર્સલ થાય છે. સુરતની ઘારી દર વર્ષે દુબઈ, અમેરિકા, લંડન, કેનેડામાં જતી હોય છે. આ માટે સુરતના મીઠાઈના વેપારીઓ હવે નવી ટેકનોલોજીથી ઘારી પેકિંગ કરી રહ્યાં છે. જેથી તે વહેલી બગડે નહિ. આ વર્ષે એમએપી ટેકનોલોજીથી ઘારી પેકિંગ કરાઈ રહ્યું છે. આ આ ઘારી 20 દિવસ સુધી સારી રહે છે. નહિ તો સામાન્ય દિવસોમાં ઘારી 6 દિવસ સુધી સારી રહે છે. ઘારીની સાથે સુરતી ભુસુ પણ આ વખતે પાર્સલમાં આપવાની તૈયારી વેપારીઓએ કરી લીધી છે.

માવાની ઘારી -740 રૂપિયા કિલો

બદામ-પિસ્તા ઘારી - 800 રૂપિયા કિલો

કેસર બદામ પિસ્તા ઘારી - 840 રૂપિયા કિલો

પિસ્તા ઘારી - 920 રૂપિયા કિલો

ડ્રાયફ્રુટ ઘારી - 1000 રૂપિયા કિલો

(6:01 pm IST)