Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અમદાવાદ નજીકના મહુડીમાં આવેલ ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધી દર વર્ષે કાળી ચૌદશના દિવસે થાય છેઃ પૂજા-અર્ચના અને હવનનો મહિમા

ઘંટના નાદ સાથે એક-એક ભાવિક દોરી ઉપર ગાંઠ બાંધે છે અને 108 ગાંઠ બાંધવાની વિધી પૂર્ણ થાય છે

ગાંધીનગર: મહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જે તેજા કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાને કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે.

કાળી ચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીર મહુડી મંદિરનું વિશેષ મહત્વ હોય છે. જૈન સમુદાયના લોકો કાળી ચૌદસના દિવસે મોટી સંખ્યામાં દર્શન અને પૂજા અર્ચન માટે અહીં આવે છે. જોકે કોરાનાના સમયગાળાને કારણે ગાઈડલાઈનના આધારે પૂજા અર્ચના કરવામાં આવનાર છે. જેથી વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે. આજના દિવસે 12:39 વાગ્યે હવન પણ કરવામાં આવે છે. મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આવતી સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે.

આજનો દિવસ મહુડીમાં ખાસ કેમ

મંદિરના ટ્રસ્ટી નિલેશ મહેતાએ જણાવ્યું કે, વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે 12.39 કલાકે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરી (દોરી) ની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે. આ પૂજા વિધી સમયે એકદમ નીરવ શાંતિ પ્રવર્તે છે.

આ દિવસે મંદિરમાં સુખડી બનાવવાનું એક ખાસ મહત્વ હોય છે. મહુડીની સુખડી પ્રખ્યાત છે, એટલુ જ નહિ, આ મંદિરની સુખડી બીજે ક્યાંય બહાર લઈ જઈ શકાતી નથી તેવી માન્યતા છે.

(3:53 pm IST)