Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

હવે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાનો બોર્ડ દ્વારા નિર્ણય

પ્રથમ કસોટી પૂર્ણ થઈ અને પ્રથમ સત્ર પણ પુર્ણ થયું હોવાથી વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાય તો અભ્યાસ અધુરો રહે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ-9થી 12માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને છેલ્લે 31 ઓક્ટોબર સુધીમાં શાળાઓને પ્રવેશ માટેની મંજુરી આપી હતી. જો કે, હવે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાનો બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-9થી 12ની સ્કૂલોમાં પ્રથમ કસોટી પૂર્ણ થઈ ગઈ છે અને પ્રથમ સત્ર પણ પુર્ણ થયું હોવાથી વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાય તો અભ્યાસ અધુરો રહે તેમ હોવાથી શિક્ષણ બોર્ડે હવે વિદ્યાર્થીઓના પ્રવેશને મંજુરી આપવાનો ઈનકાર કરી દીધો છે.

રાજ્યમાં કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ-9થી 12માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને 20 સપ્ટેમ્બર, 2021 સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી શાળામાં પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. શાળા પ્રવેશ માટેની આ સમયમર્યાદા પુર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ દ્વારા શાળાના આચાર્યો તેમજ વાલીઓ દ્વારા ધોરણ-9થી 12માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ માટે શિક્ષણ બોર્ડની કચેરીને રજૂઆત મળી હતી.

રજૂઆતની સાથે કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેવાની સાથોસાથ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડે 31 ઓક્ટોબર સુધી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ માટે મંજુરી આપી હતી. ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર દરમિયાન યોજાઈ હતી. શાળાઓમાં પ્રથમ સત્ર પણ હવે પુર્ણ થઈ ચુક્યું છે અને શાળાઓમાં 1 નવેમ્બરથી 21 નવેમ્બરનું 21 દિવસનું દિવાળી વેકેશન પણ શરૂ થઈ ચુક્યું છે.

આમ, હાલમાં પ્રથમ સત્ર અને શાળાકીય પ્રથમ પરીક્ષા પુર્ણ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઈને ધોરણ-9થી 12 માટે શાળાકીય પ્રવેશ માટે હવે પછી મંજુરી આપવામાં આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ અધુરો રહે તેમ છે. આ બાબત વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતની દ્રષ્ટીએ યોગ્ય ગણાય તેમ ન હોવાનું બોર્ડનું માનવું છે. જેથી હવે પછી ધોરણ-9થી 12માં પ્રવેશ અંગેની કોઈ પણ રજૂઆત શિક્ષણ બોર્ડની કચેરીને મોકલવાની રહેશે નહીં તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા પણ હવે પછી કોઈ પણ વિદ્યાર્થીને ધોરણ-9થી 12માં પ્રવેશ માટે મંજુરી આપવામાં આવશે નહીં. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી સુચના આપી છે અને તેમના તાબાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સુચના આપવા તાકીદ કરી છે.

(8:26 pm IST)