Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ખાતરની ગુણીનો ભાવ હવે વધીને ૧૭૦૦ રુપિયા થયો

નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતો માટે ખરાબ સમાચાર : દ. ગુજરાતના ખેડૂતો પર ૪૦ કરોડના ભારણની આશંકા

 સુરત તા.૩ : નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર આપ્યા છે. ફરી એકવખત ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ખાતરના ભાવ વધતાં દ. ગુજરાતના ખેડૂતો પર ૪૦ કરોડનું ભારણ વધવાની આશંકા સેવવામાં આવી છે. જેમાં ૧૦૪૦ રૂપિયાની ખાતરની ગૂણીનો ભાવ ૧ જાન્યુઆરીથી ૧૭૦૦ રૂપિયા થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં શેરડી પકવતા ખેડૂતોને ટન દિઠ રૂપિયા ૪૦ના ખર્ચનું ભારણ વધશે. જેના પગલે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરાઇ છે.

તમને જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆત સાથે ખાતરના ભાવમાં વધારો થતાં પોટાશ ખાતરમાં ગુણ દીઠ અધધ ૬૬૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ૪૦ કરોડનો આર્થિક બોજો પડશે. જેના કારણે ખેડૂત સંગઠનોએ ૫ હજાર કરોડની સબસિડી આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે.

પોટાશ અને એનપીકે ખાતરના ભાવમાં મહિનામાં જ વધારો ઝીંકી દેતા ખાતરની ગુણીનો ભાવ રૂપિયા ૧૭૦૦ની સપાટીએ પહોચ્યો છે. જેના કારણે શેરડી અને રોકડીયા પાક પકવતા ખેડૂતોના માથે વધારાનો ખર્ચ આવતાં ખેડૂત સમાજ લાલચોળ થયો છે.

ખેડૂત આગેવાનો જણાવે છે કે પોટાશના દર એપ્રિલમાં ૮૫૦ની નજીક હતા. તે ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી રૂપિયા ૧૭૦૦ થઈ ગયા છે. તેજ પ્રમાણે એનપીકે ખાતરની કિંમત પણ ૧૦૪૦થી વધીને રૂપિયા ૧૭૦૦ને પાર થઈ છે. જેના કારણે રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોના માથે વધારાનો ભાર ઉભો થયો છે. જેને પગલે ખેડૂત સમાજે કેન્દ્રિય કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાને પોટાસ અને એનપીકે ખાતરના ભાવમાં સબસીડી વધારવા માટે માંગમી કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં વધેલા રો મટીરિયલ્સના દરના કારણે સરકારી અને ખાનગી ફર્ટિલાઈઝર કંપની દ્વારા એનપીકે ખાતરના ભાવમાં એક મહિનાના અંતમાં જ બે વખતમાં કુલ ૫૦૦ રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પોટાશની કિંમતમાં વધેલા ભાવ, ગુણનો ભાવ-એપ્રિલ ૮૫૦, મે ૧૦૦૦, ઓગસ્ટ ૧૦૧૫, સપ્ટેમ્બર ૧૦૪૦,જાન્યુઆરી ૧૭૦૦.

(8:10 pm IST)