Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દંપતીની આત્મહત્યા કેસમાં વ્યાજખોરોને ઝડપવા ક્વાયત

વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ આત્મહત્યા કરી હતી : રોજનું ૪૦૦૦ હજાર વ્યાજ લેતા વ્યાજખોરો જગદીશ દેસાઈ, જલા દેસાઈ, જિતુ વાઘેલાને પકડવા માટે પોલીસની દોડધામ

અમદાવાદ , તા.૪ : શહેરના સોલા વિસ્તારમાં રહેતા દંપતીએ વ્યાજખોરોને કારણે આપઘાત કર્યો હતો. જેથી જુવાનજોધ પુત્ર અને પુત્રવધૂ ગુમાવનાર રમેશભાઈ પંચાલની ફરિયાદના આધારે હાલ સોલ પોલીસે વ્યાજખોરોને ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરી છે. રોજનું ૪૦૦૦ હજાર રૂપિયા વ્યાજ લેતા વ્યાજખોરો જગદીશ દેસાઈ, જલા દેસાઈ અને જિતુ વાઘેલાને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, મધ્યમ વર્ગીય પરિવારો આર્થિક સંકડામણમાં પોતાના તૂટતા વ્યવહાર સાચવવા માટે નાછૂટકે વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડતા હોય છે, પરંતુ વ્યાજખોરો જે રીતે વ્યાજ વસૂલતા હોય છે તે જોતા ભલભલા લોકો હોમાઈ જતા હોય છે.

અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો બન્યો, જેમાં વ્યાજખોરોના આંતકવે કારણે જુવાનજોધ પંચાલ દંપતીએ આપઘાત કરવો પડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર સોલાના હિતેશ પંચાલ પોતાના ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી જગદીશ દેસાઈ, જલા દેસાઈ તથા જિતુ વાઘેલા પાસેથી ૪ લાખ વ્યાજે લીધા હતા. મોટાભાગના રૂપિયા ચૂકવાઈ ગયા હોવા છતાંય વ્યાજખોરો તેની પાસે કડક ઉઘરાણી કરતા હતા.

વ્યાજખોરો હિતેશ પાસેથી રોજના ૪૦૦૦ રૂપિયા માંગતા હતા. આ વ્યાજ ચૂકવવા હિતેશ સક્ષણ ન હોવાથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેણે આ અંગે પત્ની એકતાને પણ જાણ કરી હતી. જેને કારણે પત્ની પણ ચિંતિત હતી. જગદીશ, જલા અને જિતુ વાઘેલાનો ત્રાસ એટલો વધી ગયો કે, હિતેશ અને એકતા માટે જીવવું મુશ્કેલ બન્યું હતું. જેથી તેમણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન ૨૪ ડિસેમ્બરની રાતે દંપતી ઘરેથી નીકળીને આપઘાત કરી લીધો હતો. વ્યાજખોરોના આંતકને કારણે પુત્ર અને પુત્રવધૂ ગુમાવનાર રમેશભાઈ પંચાલે આ બાબતે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વ્યાજખોરોને પકડવા માટે કવાયત હાથ ધરી છે. જો કે, તમામ વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હવે વ્યાજખોરોના આંતકને કારણે આપઘાત કરવા મજબૂર થઈ જનાર સોલાના પંચાલ દંપતીને ન્યાય મળશે કે કેમ? તે જોવાનું રહેશે.

(7:31 pm IST)