Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

શરદી, ખાંસી, થાક લાગે તો ડોક્ટરનું માર્ગદર્શન લેવા સલાહ

રાજ્યમાં નવી એડવાઈઝરી જાહેર કરાઈ : નવા વેરિયન્ટને ફેલાતો અટકાવવા માટે આગામી કેટલાક સપ્તાહ વધારાની કાળજી લેવા લોકોને અપીલ કરવામાં આવી

અમદાવાદ , તા.૪ : ગુજરાતમાં કોરોના વાયરસ અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનસ ગુજરાત બ્રાન્ચ દ્વારા એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરાઈ છે. રાજ્યમાં ઓમિક્રોનના વધતા જોખમને લઈ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં નવા વેરિયન્ટને ફેલાતો અટકાવવા માટે આગામી કેટલાક સપ્તાહ વધારાની કાળજી લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનસ ગુજરાત બ્રાન્ચ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે કોઈ પણ વ્યક્તિમાં શરદી - ખાંસી, શરીરમાં દુખાવો કે થાક લાગે તો તાત્કાલિક નિષ્ણાત તબીબનું માર્ગદર્શન લેવા જણાવાયું છે. આ સિવાય એન૯૫ માસ્કનો ઉપયોગ કરી, ૩ મીટર સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા લોકોને વિનંતી કરાઈ છે.

એટલું જ નહીં, ફરજિયાત વેકસિનેશનના માધ્યમથી વધુમાં વધુ લોકોને સુરક્ષિત કરવામાં આવે તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય એડવાઈઝરીમાં જાહેર મેળાવડા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે અથવા લોકો પોતે જ જવાનું ટાળે તેવું કહેવાયું છે. લગ્ન, સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો માટે કુલ ક્ષમતા કરતા ૨૫ ટકા જ મર્યાદામાં પરિસરનો ઉપયોગ કરવા જણાવાયું છે.

મંદિર, બગીચા અને જાહેર સ્થળોએ ૪૦ ટકા ક્ષમતામાં જ ભરવા, રેસ્ટોરન્ટ, હેલ્થ ક્લબ, સિનેમા તેમની સક્ષમતાના ૫૦ ટકા મુજબ ચલાવવા કહેવાયું છે. નોંધનીય છે કે રાજ્યમાં હાલ રાત્રી કરફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી કડક અમલ કરાવવાનો નિર્ણય કરાયો છે. તેમજ રાજ્યની સ્કૂલોમાં કોરોનાના કેસ વધતા પ્રાથમિક વર્ગોની ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે, બાકીના વર્ગોને બે પાળીમાં અથવા ઓડ - ઈવન મુજબ ચલાવવા માટે વિચારણા કરવા કહેવાયું છે.

(9:13 pm IST)