Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઠાકોર સમાજની વિજયયાત્રા : આવનાર મુખ્‍યમંત્રી ઠાકોર સમાજના હોય તેવી માંગ

વાવના ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરી : કોંગ્રેસના ધારાસભ્‍ય ગેનીબેન ઠાકોર પણ જોડાયા : મુખ્‍યમંત્રી અંગે આડકતરો સંકેત આપ્‍યો : પ્રમુખ નવઘણજી ઠાકોર સમાજના મુખ્‍યમંત્રી બને તો હેલીકોપ્‍ટરમાં બેસી ઢીમામાં દર્શન કરવા આવવા સંકલ્‍પ

બનાસકાંઠા તા. ૪ : ગુજરાતમાં આ વર્ષે ૨૦૨૨ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓની સાથે-સાથે અનેક સમાજના સંગઠનો પણ ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયા છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્‍યક્ષ નવઘણજી ઠાકોરે વાવના ઢીમા ખાતેથી ક્ષત્રિય વિજય સંકલ્‍પ યાત્રાની શરૂઆત કરી છે. આ સાથે તેમણે ૨૦૨૨માં ગુજરાતમાં ઠાકોર મુખ્‍યમંત્રીની માંગ કરી છે. આ યાત્રા દરમિયાન વાવના ધારાસભ્‍ય ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા.

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્‍યક્ષ નવઘનજી ઠાકોરે વાવના ઢીમાંમાં આવેલા ભગવાન ધરણીધરના દર્શન કરી ગુજરાતમાં ૨૦૨૨માં ઠાકોર સમાજનો વ્‍યક્‍તિ મુખ્‍યમંત્રી બને તે માટે ઢીમાથી વિજય યાત્રાની શરૂઆત કરી છે. નવઘનજીએ ઢીમાં મંદિરમાં સંકલ્‍પ કર્યો કે જો ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે તો તેવો ગેનીબેન સાથે હેલિકોપ્‍ટરમાં બેસીને ઢીમાં ભગવાનના દર્શન કરવા આવશે. જોકે વિજય યાત્રાની સભામાં નવઘનજીએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્‍યમંત્રી બનવો જોઈએ.

અમારા સમાજના લોકોને પોલીસ સામાન્‍ય બાબતમાં દંડ આપે છે. અમારા સમાજનો કોઈ મંત્રી કે કેન્‍દ્રમાં મંત્રી નથી. કોઈ બાહુબલી નથી જો ઠાકોર મુખ્‍યમંત્રી બનશે તો કોઈ ઠાકોરના છોકરાને કોઈ વાહન દંડ આપશે નહિ તેમજ તમામ કામો થશે અને ૨૦૨૨માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વાર માળા પહેરાવવાના છીએ. ઠાકોર સમાજનો મુખ્‍યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા ૬ જિલ્લાઓ અને ૩૩ વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્‍યમંત્રી બને તે માટે પ્રયાસો કરશે.

નવઘણજીની આ યાત્રામાં વાવના કોંગ્રેસના ધારાસભ્‍ય ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા. જેને લઈને ઠાકોર સમાજનો મુખ્‍યમંત્રી બને તેવા આડકતરી રીતે ગેનીબેને પણ સંકેત આપ્‍યા હતા અને કહ્યું હતું કે આ સરકારમાં ગરીબ અને વંચિતોનું કોઈ સાંભળતું નથી. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. જેથી સરકારમાં ઠાકોર, ઓબીસી, એસસી, એસટી સમાજનો વિકાસ થાય તે જરૂરી છે. તો બીજી તરફ અન્‍ય સમાજોએ પણ નવઘનજી ઠાકોરને સમર્થન આપ્‍યું હતું અને આ વખતે ગુજરાતમાં પરિવર્તન થાય તેવી વાત કરી હતી.

(10:12 am IST)