Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અમદાવાદના મણીનગરના રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘના શિક્ષકોની પડતર માંગણીઓને લઇને ધરણા પર બેસવાનો નિર્ણય લેવાયો

મહાસંઘ સાથે 1 લાખથી વધારે શિક્ષક સભ્‍યો જોડાયેલાઃ અગાઉ શિક્ષણ મંત્રીને રજુઆત પણ કરેલ

અમદાવાદઃ અમદાવાદના મણીનગર ખાતે રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે ગ્રેડ પે, જુની પેન્‍શન યોજના સહિતના મુદ્દાઓની સરકારના અવારનવાર રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા શિક્ષકોએ ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ ખાતે મણિનગરમાં આવેલા હેડગેવાર ભવન ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  ગુજરાતની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી, આગામી રણનીતિ ઘડવામાં આવી છે. એચ.ટાટ, મહાનગર અને નગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ-પે તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સળંગ નોકરી, શિક્ષકોની ભરતી તેમજ જૂની પેન્શન યોજના સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે.

મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું હતું કે, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 4200 ગ્રેડ પે માટે ધરણા પર બેસવાનું નક્કી કરવામાં આવ્યું છે. એચ. ટાટનાં કર્મચારીઓની ભરતી થઈ એ પછી હવે એ કર્મચારીઓએ 300 કિમી સુધી દૂર જવું પડ્યું છે, આ સમસ્યા અંગે સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે. પણ ઉકેલ નથી આવી રહ્યો, આ મામલે ઉગ્ર લડત લડીશું.

શિક્ષણમંત્રીએ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં કેટલાક પ્રશ્નો મામલે અમને મૌખિક સંમતિ આપી છે પંરતુ ઠરાવ થયા નથી. જેના કારણે હજુ અમને ન્યાય નથી મળી રહ્યા તો એ અંગે શિક્ષણમંત્રીને ફરી રૂબરૂ મળીને રજૂઆત કરીશું. જૂની પેન્શન યોજના માટે અમે અગાઉ ગાંધીનગરમાં કાર્યક્રમ યોજ્યો હતો.

હવે ફરી 15 ઓગસ્ટ બાદ તમામ જિલ્લામથકો ખાતે કાર્યક્રમ યોજીશુ, અયોધ્યા ખાતે મળેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. જૂની પેન્શન યોજના માટે જરૂર પડશે તો દિલ્લી સુધી જવાની અમે રણનીતિ નક્કી કરી છે. એ સિવાય આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 1 ઓગસ્ટના દિવસે એકસાથે રાજ્યની 25 હજાર શાળામાં ભારત માતાનાં ફોટો અને સ્ટીકર સાથે દેશભક્તિના કાર્યક્રમ યોજીશું.

હાલ અમારા મહાસંઘ સાથે 1 લાખ 25 હજાર જેટલા સભ્યો જોડાયેલા છે, અમે સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારો લક્ષ્યાંક 2 લાખ સભ્ય બનાવવાનો છે, એના માટે રણનીતિ ઘડવામાં આવી છે.

(5:21 pm IST)