Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

‘હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું, : ચિઠ્ઠી લખી પોલીસકર્મીના પુત્રએ મોત વ્હાલું કર્યું

કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્રએ પડતું મૂકતા પોલીસ તંત્રમાં ચકચાર

વડોદરા :  કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્રએ પડતું મૂકતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ છે. આપઘાત કરતા પહેલા યુવાને એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે “હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું” તેમ લખી મોતને વ્હાલ કર્યું હતું. કયા કારણોસર પોલીસ પુત્રએ તળાવમાં છલાંગ લગાવી તે અંગે કંઇ જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારના પુત્ર નિરજ પવારે ઉંડેરા ગામના તળાવમાં પડતું મુકતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ છે. નિરજ પવારે આપઘાત કરતા પહેલા એક લેટર લખ્યું હતું જેમાં તેણે “હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું” લખીને સાઇકલ લઇને ઉંડેરા તળાવના કિનારે પહોંચ્યો હતો અને તળાવના કિનારે ચપ્પલ કાઢીને તળાવમાં કૂદકો માર્યો હતો.

આ બનાવ અંગેની જાણ શહેરના કારેલીબાગ પોલીસમાં થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. તો બીજી બાજુ આ બનાવની જાણ ટી.પી.-13 ફાયર બ્રિગેડને થતાં સબ ફાયર ઓફિસર સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તળાવમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને તળાવના કિનારેથી તળાવમાં લાપતા થયેલા યુવાનના ચપ્પલ મળી આવ્યા હતા. જો કે, હાલ વરસાદની સિઝન હોવાના કારણે તળાવમાં પાણી વધારે પ્રમાણમાં હોવાથી કોઈ પણ પત્તો લાગ્યો નથી.

(1:02 am IST)