Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક (HFNC)

I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે : જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો સંક્રમિત થયા છે

અમદાવાદ : કોરોનાના માઇલ્ડ એટલે કે સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ સરળતાથી કોરોના પર વિજય હાંસલ કરીને સ્વસ્થ થાય છે. પરંતુ દર્દીમાં કોરોનાની ગંભીરતા વધતી જોવા મળે ત્યારે તેને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવે છે. આ આઇ.સી.યુ.માં રહેલા દર્દીઓની સમગ્ર  સારવાર અને દેખરેખ એનેસ્થેસિયા વિભાગ  દ્વારા કરવામાં આવે છે. આઇ.સી.યુ. વિભાગમાં વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની સેવા-શુશ્રુષા પણ આ વિભાગ દ્વારા થાય છે. વેન્ટીલેટર પર રહેલા દર્દીઓમાં ક્યારેક ગંભીરતા વધી જાય ત્યારે પોતાના જીવના જોખમે પણ પોતે સંક્રમિત થઇ એનેસ્થેસ્ટિક  તબીબો દર્દીઓની પીડા દૂર કરતા જોવા મળે છે.     આવી જ વેન્ટીલેટરની સારવારમાં લેટેસ્ટ તકનીક હાઇ ફ્લો નેઝલ થેરાપી યુનિટ વિષે સોલા સિવિલના એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જે.સી. મકવાણા કહે છે કે દર્દી સભાન અવસ્થામાં હોય અને તેના શરીરમાં જ્યારે ઓક્સિજનની માત્રા અથવા સંતુલન ઓછું થતુ જણાય ત્યારે તેને આ નેઝલ થેરાપી યુનિટ પર રાખવામાં આવે છે. આ યુનિટમાં ૭૫ લીટર હ્યુમિડીફાઇડ ઓક્સિજન પ્રતિ મીનીટ સુધી આપી શકાય છે. જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઘણું અસરકારક છે. સામાન્ય રીતે મોઢા પર માસ્ક લગાડીને નાક વાટે ઓક્સિજન પહોંચાડવામાં આવતું હોય છે જે દર્દીને અન્ય ક્રિયાઓમાં ઘણી તકલીફ ઉભી કરતુ હોય છે , દર્દીને જમવામાં તેમજ પાણી પીવામાં પણ ઘણી તકલીફો ઉભી થતી હોય છે જ્યારે આ નેઝલ થેરાપીમાં ફક્ત પાતળી પાઇપ વાટે નાક મારફતે દર્દીના શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે જેથી દર્દીને અન્ય ક્રિયાઓમાં કોઇપણ જાતની તકલીફ ઉભી થતી નથી.દર્દી સામાન્ય રીતે વાત ચીત કરી શકે છે.

    સોલા સિવિલ હોસ્પિટલમાં ૭૦ વર્ષીય અરુણભાઇ જ્યારે કોરોના સંક્રમિત થઇ સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમને સામાન્ય માસ્ક લગાડી ઓક્સિજન પર મુકવામાં આવ્યા હતા પરંતુ ઓક્સિજનનું સંતુલન ન જળવાતા તેમને હાઇ ફ્લો નેઝલ ઓક્સિજન યુનિટ પર મુકવામાં આવતા તેમના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૮-૯૯ ટકા સુધી જળવાઇ રહ્યુ હોવાનું સોલા સિવિલના એનેસ્થેસિયા વિભાગના ડૉ. અલકા શાહ જણાવે છે.
    દર્દીના શરીરમાં જ્યારે એકાએક ઓક્સજનનું પ્રમાણ ઘટવા લાગે, દર્દી સભાન અવસ્થામાં ન હોય ત્યારે દર્દીને ઇનવેઝીવ વેન્ટીલેટર પર મુકવા પડે છે અને ત્યારે પણ સ્થિતિ સામાન્ય ન જણાઇ આવે તો દર્દીને ઇનટ્યુબેટ કરવાની જરૂરિયાત ઉભી થાય છે. આ ઇન્ટુબીટ પ્રક્રિયામાં શ્વાસનળી(ટ્રેક્રિયા)ને સીધા વેન્ટીલેટર સાથે જોડવામાં આવે છે.એનેસ્થેસ્ટિક તબીબો પી.પી.ઇ. કીટમાં સજ્જ થઇ મોઢા પર માસ્ક લગાડી કોરોનાના સંક્રમણથી બચવા ગ્લાસ સીલ્ડ પહીરેને કોરોના સંક્રમિત દર્દીને ઇનટ્યુબેટ કરતા હોય ત્યારે વીઝીબીલીટી ઓછી મળતી હોય છે.આંખની સામે ફોગ જામતુ હોવાના કારણે વીઝીબીલીટી ઘટી જાય છે. ત્યારે આ તબીબો પોતાના જીવના જોખમે ચશમાં અને શીસ્ડ કાઢીને દર્દીના જીવને પ્રાથમિકતા આપી સમગ્ર પ્રક્રિયાને સરળ રીતે થાડે પાડતા હોય છે.જેના કારણે જ કોરોના સંક્રમિત થવાના તબીબોના કિસ્સામાં એન્સેથેટિક તબીબોનુ પ્રમાણ વધુ જોવા મળ્યુ છે તેમ એસોસીએટ તબીબ ડૉ. જીજ્ઞા શાહ જણાવે છે.

    સોલા સિવિલના એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ. ઇલા પટેલ કહે છે કે ઇનટ્યુબેશનની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા  અને તબીબોમાં સંક્રમણનું પ્રમાણ ઘટાડવા અમારી હોસ્પિટલમાં ગ્લાસ સિલ્ડ જેવું એક્રેલિક બોક્સ બનાવવામાં આવ્યુ છે. જેમાં દર્દીના મોંઢાની નજીક જવું પડતુ નથી જે બોક્સમાં સરળતાથી હાથ વાટે સમગ્ર પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે.દર્દી અને તબીબ વચ્ચે બોક્સનું પડ આવી જવાના કારણે તબીબોને  સંક્રમિત થવાની સંભાવના ઘટી જાય છે. આવી જ રીતે વીડીયો લેંરિગો સ્કોપની મદદથી દર્દીની સ્વરપેટીની વચ્ચેથી શ્વાસનળીમાં ટ્યુબ નાખી તેને વેન્ટીલેટરથી સીધા જોડવામાં આવે છે.આ સ્કોપની મદદથી ટ્યુબ સરળતાથી અને બરોબર રીતે પહોંચી છે કે નહીં શરીરના અન્ય ભાગને નુકસાન પહોંચાડી રહી નથી તેની ખરાઇ કરી શકાય છે તેમ ડૉ. ઇલા પટેલ ઉમેરે છે.
    આમ પોતાના જીવને જોખમે મૂકીને પણ હિપોક્રેટીક ઓથ ને મનમાં ઉતારી મક્કમતાથી તે ઓથને પરિપુર્ણ કરવા અને કોઇપણ ભોગે ભલેને પછી પોતે જ સંક્રમમિત થઇ જવુ પડે પરંતુ દર્દીનો જીવ બચાવવા પ્રયતન્શીલ રહેતા આ તબીબોને લાખ લાખ વંદન.....

(સંકલન :- અમિતસિંહ ચૌહાણ)

(7:34 pm IST)