Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

શૂન્યમાંથી સર્જન કરેલું: દિલદાર વ્યકિત હતા

વધુ એક જીંદગી જંગ હારીઃ ગુજરાત ટ્રાવેલ્સના માલિક હારૂનભાઈ મેતરનો જીવનદીપ બુઝાયો

કોરોનામાંથી બહાર નિકળી ગયા, રિપોર્ટ પણ નેગેટીવ આવી ગયો'તોઃ અચાનક હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધનઃ ઘેરાશોકની લાગણીઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાતભરમાં ખૂબ જ નામના ધરાવનાર એવા ગુજરાત ટ્રાવેલ્સના માલિક હારૂનભાઈ મેતરનો જીવનદિપ બુજાયો છે. તેઓને કોરોના થયો હતો. તેમાંથી તેઓ બહાર પણ નિકળી ગયા હતા. કોરોનાનો રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો હતો. પરંતુ તેઓને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેઓનું દુઃખદ અવસાન થયું છે.

શુન્યમાંથી સર્જન કરનાર હારૂનભાઇ રસુલભાઈ મેતર ગુજરાત ટ્રાવેલ્સના માલિકની દિલને ચકિત કરનારી કહાની. કંઈક આવી છે.  હારૂનભાઇ નાનપણથી જ કાંઈક કરી બતાવવા જઝબો રાખનાર વ્યકિતત્વ હતા, અને કોઈપણ નાના કામમાં ન શરમ કે સંકોચ વિના કરી બતાવતા, ઓછું ભણેલા પણ જાજુ ગણેલા વ્યકિત હતા,  જેમના જુવાનીના દિવસોમાં વહેલી સવારે સાયકલ મા દૂધ દેવા જાતા ભેંસને ગાયુંનો તબેલો જાતેજ સાર સંભાળ કરતા, પછી તરતજ શાક બકાલા ની લારી લઇને વહેચવા જતા અને સાંજે કઈ પણ બીજુ કામ જે મળે જેમકે સિલાઇ કામ, હીરા ઘસવાનું કામ કરીને રાત્રે બે પૈસા ભેગા કરતા, ભેગા કરતા કરતા એક રીક્ષા લેવાના પૈસા ભેગા થતા તેમને તેમના વાલિદાનને વાત કરી કે મારે એક રીક્ષા લેવી છે અને ખુદનો ધંધો કરવો છે,  વાલિદાનને ખોડ કપાસની દુકાન હોવાથી વેપારી ગણાતા ટકોર કરી કે આપણે રીક્ષાના લેવાઈ આપણે વેપારી છીએ અને રીક્ષાવાળા ઘણી જાતની કુટેવોથી આદતી થઈ જાય  છે,  તો પણ તેમને વાલિદાનને સમજાવ્યા અને વિશ્વાસ દેવડાવ્યો કે જો કોઈપણ તમને આવી ને કે તમારા દીકરાએ બીડી પીધી કે પાન ખાધું તો એજ દિવસે રીક્ષા તમો વંહેચી નાખજો, 

એ સાંભળી વાલિદાનએ હા પાડી અને બસ  અહીંયાથી એક ઊંચી સફર ચાલુ થઈ,  એક રીક્ષામાંથી ટેક્ષી કરીએ એરપોર્ટ  ઉપર તન તોડ મેહનતને સર્વિસ આપીને એક મેટાડોર લીધી એમા પણ એમને માસ્ટરી કેળવી જાત્રા ધામ જવા માટે હારૂનભાઇની મેટાડોર સિવાય જવાઈ નહી એવી આખા ભાવનગરમા ઓળખ મેળવી, બસ મેહનત ને ઈમાનદારીએ એકજ એમની રીત સીધુને સાદુ ગણિત, બસ આમજ મેટાડોરમાંથી મિનિબસ અને તેમાંથી મોટી બસો આવવા લાગી અને ડેઇલી રૂટ ભાવનગરથી જામનગર વાયા રાજકોટ બસો ચાલુ કરી જેને આજ ૩૭ વર્ષ થઈ ગયા છે, સ્વભાવે પોતે એક દમ નિખાલસ,  નરમ,  સામેવાળાને ખુબ સંભાળનારા અને કોઈપણ ખરાબ પરિસ્થિતિને પહોંચી વળનાર વ્યકિત હતા,  દિલના બહુજ મોટા અને ગરીબી અને મજૂરી જાતે જોઈને ભોગવેલી જેથી કોઈ પણ નાના માણસને મદદ કરવા સામેથી દોડી જાતા હતા.

મર્હુમ હાજી હારૂનભાઈ રસુલભાઈ મેતર (ઉ.વ.૬૦) તા.૩ સોમાવરના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. રીયાઝભાઈ હારૂનભાઈ મેતર મો.૯૮૨૪૪ ૩૫૫૫૫, રોહીનભાઈ હારૂનભાઈ મેતર મો.૮૦૦૦૦ ૮૯૦૦૦, રઝાકભાઈ સોરઠીયા મો.૯૮૨૪૮ ૦૦૬૦૦

(11:58 am IST)