Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

અનલોક-4ની ગાઇડલાઇન મુજબ આજથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત તમામ શહેરોમાં બાગ-બગીચા ખોલી દેવાયાઃ મોર્નિંગ-ઇવનિંગ વોકીંગનો લોકો લાભ લઇ શકશે

અમદાવાદ: અનલૉક-4ની ગાઈડ લાઈન પ્રમાણે આજથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ગુજરાતનાં તમામે તમામ શહેરોના બાગ-બગીચા ખોલી દેવામાં આવ્યા છે. હવે સવારે અને સાંજે મોર્નિંગ વૉક કરવા માટે સ્વાસ્થ્ય પ્રેમીઓ જઈ શકશે. બગીચામાં મોર્નિંગ વોક કરવા લોકો આતુર છે. બાગ-બગીચા ખોલતાં લોકોમાં ખુશી છે. કોરોના સંક્રમણને ખાળવા બાગ-બગીચાને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. રોજે રોજ આ રીતે બગીચાઓને સેનેટાઈઝ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ લોકો માસ્ક પહેરીને બાગ-બગીચામાં આવી શકશે.

ગુજરાત સરકારે બાગ બગીચાને મજૂરી આપી છે ત્યારે અમદાવાદમાં amc તરફ થી 5 તારીખે ખૂલનારા ગાર્ડન માટે તૈયારીઓ અગાઉથી શરૂ કરી દેવામાં આવી હતી. શહેરના તમામ ગાર્ડનની સફાઈ અને મેઈન્ટેનન્સનું કામ કરાયું હતું. આ વિશે amc ના બાગબગીચા વિભાગના ચેરમેન જિગ્નેશ પેટલે જણાવ્યું કે, ગાર્ડન ખૂલ્યા બાદ દિવસમાં બે વખત તેને સેનેટાઇઝ કરવાનું કામગીરી કરશે. સાથે કોરોના માટેની તમામ ગાઈડલાઈનનો અમલ ગાર્ડનમાં આવનારે કરવો પડશે. નહિ તો amc જવાબદાર સામે પગલાં લેશે.

વડોદરાના 116 બાગ ખુલ્લા મૂકાયા

વડોદરામાં પાલિકાએ પણ બાગ બગીચા ખોલવા પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કમાટીબાગ સહિત 116 બાગ બગીચા આજથી ખુલ્લા મૂકાયા છે. અનલૉક 4 માં બાગ બગીચા ખોલવાની મંજૂરીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સરકાર અને પાલિકાના નિર્ણયને લોકોએ આવકાર્યો છે. તો બીજી તરફ, બાગને રોજ સેનેટાઈઝ કરવા તંત્ર દ્વારા પગલા લેવાયા છે. તકેદારી રાખવા લોકોની તૈયારી પણ છે.

પાંચ મહિના બાદ ખૂલ્યું જામનગરનું લખોટા તળાવ

જામનગર શહેરની મધ્યમાં આવેલું અને શાન સમા ઐતિહાસિક નજરાણું લાખોટા તળાવ અનલોક 4 ની ગાઈડલાઈન આવ્યા બાદ ગઈકાલે શુક્રવારથી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા તળાવને ખુલ્લો મુકવાનો નિર્ણય લેવાતા લાખોટા તળાવે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. લખોટા તળાવ હાલ પ્રારંભિક તબક્કે સવારે 5 થી સવારે 9 વાગ્યા સુધી લાખોટા તળાવ ખુલ્લું રહેશે અને જેમાં મોર્નિંગ વોકથી માંડી ફરવા આવતા લોકો લાખોટા તળાવમાં પ્રવેશ મેળવી શકશે. આજે સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો અને વૃદ્ધો મોર્નિંગ વોક કરવા તેમજ તળાવની પાળે ફરવા માટે આવી પહોંચ્યા હતા. ઉત્સવ જેવો માહોલ હોય તે પ્રકારનો આનંદ શહેરીજનોએ માણ્યો હતો. વહેલી સવારે તાજી હવા મેળવ્યા હોવાનું લાખોટા તળાવ પર અહેસાસ કર્યો હતો.

(4:28 pm IST)