Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ આશરે બાળકો અને વૃદ્ધો મળી 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠીઃ મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થતા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

વડોદરા પાસે આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ આશરે બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સાથે પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી. મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થતા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. જ્યાં તમામની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે ચૂંટણીમાં વ્યસ્ત તંત્ર વધુ એક વખત દોડતું થયું છે.

વડોદરા પાસે આવેલા રાયપુરામાં આયોજિત લગ્નપ્રસંગમાં જમણવાર બાદ અનેક લોકોને ફૂડપોઈઝનિંગની અસર થતા પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે મોટાભાગના અસરગ્રસ્તોને પ્રથમ સ્થાનિક PHC સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તમામને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે 108 ઇમરજન્સીના કર્મી નિલેશ પરમારે Watchgujarat. com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને પાદરા હેલ્થ સેન્ટર પર પેશન્ટ લઈ ગયા હતા. ત્યાંથી અમે અમારા સર નવા જાણ કરી. પછી અમે પેશન્ટને વડોદરા ગોત્રી હોસ્પિટલ લઈ આવ્યા. રાયપુરથી દર્દીઓને અહીંયા શિફ્ટ કર્યા. 108માં પેશન્ટને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તમામ પેશન્ટ જાગૃત અવસ્થામાં છે. 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો અસરગ્રસ્ત થયા છે.

ફૂડપોઈઝનિંગની અસર થયાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અતુલ ગોર ગોત્રી મેડિકલ કોલેજમાં દોડી આવ્યા હતા. Watchgujarat.com સાથે વાત કરતા જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું કે, લગ્નપ્રસંગ નિમિત્તે જમણવારનો એક કાર્યક્રમ હતો. જે બાદ જમનારાઓને પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ તંત્ર સતર્ક થઈ ગયું છે. ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસરની આગેવાની હેઠળ ડોકટરોની ટિમ લોકોને તપાસી રહી છે. તમામ દર્દીઓ સ્થિર છે. ગોત્રી હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓ રીફર કરાયા છે.

રાયપુરા ગામ ડભોઇ વિધાનસભા વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારમાંથી ધારાસભ્ય અને વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટા પણ આવી પહોંચ્યા હતા. લગ્નપ્રસંગમાં જમણવાર બાદ ફૂડપોઈઝનિંગની ઘટના અંગે મને જાણ થતાં હું આવ્યો છું. કલેકટર અને ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસરને પણ જાણ કરવામાં આવી હતી. પહેલા ફૂડપોઈઝનિંગથી અસરગ્રસ્તોનો અંક 100 મનાતો હતો જે 200 એ પહોંચ્યો છે. 10 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. કોઈ ગંભીર નથી.

(12:54 pm IST)