Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વાઘોડિયાના સિંહાપુરા ગારમાં દીકરા-દીકરીના લગ્નના બે દિવસ પહેલા પિતાનું અકસ્‍માતમાં મોતઃ પરિવારનો આનંદ-ઉત્‍સવ માતમમાં ફેરવાયો

ખુશીઓ માતમમાં ફેરવાતા મંડપ શણગાર પણ ઉતારી લેવામાં આવ્‍યો

વડોદરાઃ વાઘોડિયાના સિંહાપુરા ગારમાં દીકરા-દીકરીના એક સાથે લગ્ન લેવાયા હતા. ઘરના મોભી રાજુભાઇ છગનભાઇ ભાલીયાનું અકસ્‍માતે મૃત્‍યુ નિપજતા સમગ્ર પરિવારનો આનંદ માતમમાં ફેરવાઇ ગયો હતો.

ક્યારેક કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવુ લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર વરસી રહ્યો છે. ત્યારે એવુ થાય છે કે આવું અમારી સાથે કેમ થયું. વાઘોડિયાના ભાલીયા પરિવાર સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે કરે. જ્યાં દીકરા-દીકરીના લગ્નના એકસાથે ઢોલ વાગવાના હતા, તેને બદલે પિતાના મોતના મરસિયા ગાવા પડ્યા. દીકરાનો વરઘોડો નીકળે પહેલા પિતાના મોતના સમાચાર આવ્યા. કાળજું કઠન કરીને ઘટના વાંચજો.

બન્યું એમ હતું કે, વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગારમાં રહેતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે તેમની દીકરી અને દીકરાના એકસાથે લગ્ન લેવાયા હતા. બે દિવસથી ઘરની બહાર મંડપ બંધાયો હતો. લગ્નના ઢોલ ઘરની બહાર વાગી રહ્યા હતા. સોમવારે 6 ફેબ્રુઆરી 2023 રાજુભાઈની દીકરીના લગ્ન હતા. તો રાજુભાઈએ દીકરાના 7મી ફેબ્રુઆરીના રોજ જાન લઈ હર્ષોલ્લાસ સાથે પરણવા જવાના અરમાનો સજાવ્યા હતા. આજે સાંજે દીકરાના લગ્નનો વરઘોડો પણ નીકળવાનો હતો. દીકરાના લગ્ન ખેડા કરમશીયા ગામે નક્કી કરવામાં આવ્યા છે. જાન લઈ મંગળવારે સવારે જવાનું હતું. ભાલીયા પરિવારના બધા પ્લાનિંગ વચ્ચે કુદરતે કંઈ બીજુ નક્કી કર્યુ હતું. તેમને ખબર હતી કે, તેમના પરિવાર પર એક મોટી આફત આવી પડશે.

લગ્નને બે દિવસ બાકી હતા, અને રાજુભાઈ અને તેમનો આખો પરિવાર પત્ની, દીકરો અને દીકરી આદલવાડા વેવાઈના ઘરે લગ્ન માટે હાજરી આપવા નીકળ્યા હતા. ત્યાંથી પરત ફરતા સમયે તેમની રીક્ષાને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજુભાઈનું મોત નિપજ્યુ હતું, તો રીક્ષામાં સવાર તેમના પત્ની અને દીકરા-દીકરી ઈજાગ્રસ્ત થયા હતા.

જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. દીકરીના લગ્નના એક દિવસ પહેલા પિતાનું મોત નિપજ્યુ હતું. ભાલીયા પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ શકે તેવુ પરિવાર સાથે બન્યુ હતું. પરિવારના મોભી મોતને ભેટ્યા હતા, પરિવારનો આનંદનો ઉત્સવ ગાયબ થઈ ગયો હતો. જ્યાં દીકરા દીકરીના લગ્નની શરણાઈઓ વાગવાની હતી, ત્યાં પિતાની અર્થી ઉઠી હતી. ઘટનાથી પરિવારજનોમાં રોકકળ મચી હતી. લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા લગ્નનો ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો છે.

(5:42 pm IST)