Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

આણંદ નજીક જોળ ગામે પરિણીતા પર પતિ સહીત સસરાએ આડા સંબંધનો વ્હેમ રાખી માનસિક ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

આણંદ : આણંદ પાસેના જોળ ગામે પરિણીતા ઉપર પતિ અને સસરાએ અન્ય લોકો સાથે આડા સંબંધ રાખવાનો વહેમ રાખી માનસિક ત્રાસ ગુજારી મહેણા-ટોણા માર્યા હતા અને પતિએ માર મારતા પરિણીતાથી ત્રાસ સહન ન થતા તેણેે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયો છે. આ અંગે પરિણીતાની માતાએ ફરિયાદ નોંધાવતા વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ ખંભાત તાલુકાના ભૂવેલના વતની અને હાલ બોરસદ તાલુકાના દાવોલ ગામે જયઅંબે પતરાની ફેક્ટરીમાં રહેતા કમળાબેન પરસોત્તમભાઈ સલાટની દિકરી કોકીલાબેનના બીજા લગ્ન જોળ ગામે ઈન્દિરા નગરીમાં રહેતા જશભાઈ શનાભાઈ દેવીપૂજક સાથે વીસેક વર્ષ પહેલા થયા હતા. શરૂઆતમાં સંસાર સુખરૂપ ચાલ્યો હતો જેના ફળસ્વરૂપે તેઓને એક દિકરી તથા બે દિકરાનો જન્મ થયો હતો. જો કે બાદમાં પતિ જશભાઈએ પરિણીતાને અવારનવાર લોકો સાથે આડો સંબંધ ધરાવે છે તેમ કહી ઝઘડો કરી માર મારવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન સસરા શનાભાઈ હીરાભાઈ દેવીપૂજક ભુવાનું કામ કરતા હોઈ દાણા જોઈ પતિ જશભાઈને ખોટી ચઢવણી કરતા હોઈ ઘરકંકાસ વધતા કોકીલાબેન રીસાઈને પીયર ચાલ્યા આવ્યા હતા. પરંતુ દીકરીનો ઘરસંસાર ન બગડે તે માટે તેણીના પરિવારજનોએ સમજાવટ કરી પરત સાસરીમાં મોકલી હતી. 

(6:41 pm IST)