Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

હવે નકલી રેમડેસિવિર ઇન્જેકશનની થઇ જશે ઓળખ:જીટીયુએ વિકસાવી સિસ્ટમ

જીટીયુ ફાર્મસી સ્કૂલ દ્વારા 5‌ મિનિટમાં જણાવી દેશે કે રેમડેસિવિર ઇન્જેકશન અસલી છે કે નકલી.

અમદાવાદ : રાજ્યમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે ત્યારે કમાવાની વૃતિના લીધે રેમેડેસિવિર ઈન્જેક્શનના નામે ગ્લુકોઝના સફેદ પાવડર અને મીઠાનો ભૂક્કો મિશ્રિત કરીને દર્દીના પરિવારને નકલી રેમડેસિવીર ઇન્જેક્શન ઉંચા ભાવેકાળાબજારી કરી રહ્યા છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ, બરોડા, સુરત જેવા મોટા શહેરોમાં પણ પોલીસ દ્વારા આવા નકલી રેડેસિવીર ઇન્જેક્શનના ગોડાઉન પર રેડ પાડીને કાળા બજારી કરનાર મોતના સોદાગરોને જેલના હવાલે કરવામાં આવ્યા છે. તમારી પાસે આવેલા ઇન્જેક્શન હવે સાચા છે કે નકલી તે પકડવા માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ ટેસ્ટીંગ હાથ ધર્યું છે, જે વિનામૂલ્યે કરી આપવામાં આવે છે

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં આવેલા ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ મલય પંડ્યા અને‌ નિસર્ગ પટેલ દ્વારા રેમડેસિવિરની ચકાસણી સંદર્ભે સિસ્ટમ વિકસાવી છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોના જેવી રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે. સરકારની મદદના ભાગરૂપે જીટીયુ દ્વારા રેમડેસિવિરની ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ફાર્મા કોપિયા કમિશન દ્વારા મંજૂર થયેલી દરેક દવાની મેથડ નક્કી કરવામાં આવે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રેમડેસિવિરની મંજૂરી ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી હોવાથી તેની‌ ઓફિશિયલ મેથડ નક્કી કરવામાં આવી નથી. આવા સંજોગોમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની ગાઈડલાઈન પ્રમાણે, પ્રથમ વખત જીટીયુ દ્વારા હાઈપ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી મેથડ વિકસાવવામાં આવી છે. જીટીયુ ફાર્મસી સ્કૂલ દ્વારા 5‌ મિનિટમાં જણાવી દેશે કે રેમડેસિવિર ઇન્જેકશન અસલી છે કે નકલી.

(12:01 pm IST)