Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

અમદાવાદમાં લગ્નના ચોથા દિવસે જ આરતી ગજ્જર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં લાગી ગઇઃ છેડાછેડીની ગાંઠ હજુ છુટી ન હતી પરંતુ ફરજ પ્રત્યેની ગાંઠ મનમાં બાંધી લીધી

અમદાવાદ: લગ્નજીવનની હજુ તો શરૂઆત જ થઈ, હાથની મહેંદી પણ હજુ સુકાઈ નથી, દાપત્યજીવન શું હોય તે સમજવાના પ્રયત્નો કરી રહ્યા હતા, તેવામાં ફરજનો સાદ પડતા માત્ર ચાર દિવસમાં જ કોવિડ ડયુટીમાં હાજર થઈ ગયા. ડાયેટિશિયન વિભાગમાં કામ કરતા છ સાથી મિત્રો કોરોના પોઝિટિવ થયા હતા, અને હવે કોરોનાકાળમાં પોતાની જરૂર પડી. તેથી ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર ડયુટી પર હાજર થઈ ગયા.

લગ્નના ચોથા દિવસે જ ડ્યુટી પર જોડાયા

વાત છે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આરતી ગજ્જરની, કે જેઓએ કોરોના કાળમાં પોતાની ફરજ નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા આરતી ગજ્જરના લગ્ન હજી 25 એપ્રિલના રોજ ખંભાત ખાતે થયા હતા. તેઓના દાંપત્યજીવનની હજુ શરૂઆત જ થઇ હતી. લગ્ન બાદ સ્વભાવિક છે કે સાસરે રહીને નવજીવનને, નવી જવાબદારીઓને સમજવાની કોશિશ કરી રહ્યા હોઈએ. ત્યાં જ તેમને જાણ થઇ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલના ડાયેટ વિભાગમાં તેમના મિત્રો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. પરિસ્થિતિ પારખીને આરતીએ પોતાની કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું. તમામ અરમાનો અને સપનાઓને બાજુમાં મૂકીને આરતીએ લગ્ન પછીના ચોથા જ દિવસે ડયુટી જોઇન કરી લીધી. છેડાછેડીની ગાંઠ હજુ છૂટી પણ નહોતી ત્યાં તેમણે ફરજ પ્રત્યેની ગાંઠ મનમાં બાંધી લીધી હતી.

એક વર્ષથી કોરોના વોર્ડમાં ફરજ

આરતી ગજ્જર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી કોરોનામાં ફરજ બજાવી રહ્યાં છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીને સમયસર ભોજન મળી રહે તે માટે દર્દીઓના અન્નપૂર્ણા બનીને કામગીરીનું ઉત્તમ ઉદાહરણ આરતીએ પૂરુ પાડ્યું છે. તેઓ વોર્ડમાં જઇને દર્દીઓને અલગ અલગ સમયે સંતુલિત ખોરાક, તેમના શરીરના જરૂરિયાત મુજબનો ખોરાક નક્કી કરીને તેમને પહોંચતુ કરે છે. ઘણી વખત વોર્ડમાં જઇને જે દર્દીઓ મોં વાટે ખોરાક નથી લઇ શકતા તેઓને રાઇલ્સ ટ્યુબ વડે ખોરાક ખવડાવે છે.

અંગત જીવન કરતા સમાજસેવા અને દેશસેવા વધુ જરૂરી

આવી કપરી પરિસ્થિતિમાં અંગત જીવન કરતા સમાજસેવા અને દેશસેવા વધુ જરૂરી છે. એક દર્દીને સમયસર જમવાનું મળી રહે તેની માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે મારા માટે મહત્વનું હતું, જેથી હું ખૂબ જ ટૂંકાગાળામાં ફરજ પર હાજર થઇ છું. આવી પરિસ્થિતિઓમાં સ્વને ભૂલીને સમષ્ટિનું વિચારી ફરજને પ્રાધાન્ય આપે તે જ સાચો કર્મચારી કહેવાય આ જ બાબતને ધ્યાનમાં રાખીને દર્દીનારાયણની સેવા કરવા માટે હું લાગી ગઇ છું તેવું આરતીનું કહેવું છે.

(4:46 pm IST)