Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સુરતમાં કોરોના કેસ વધતા ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થતા પરપ્રાંતીય શ્રમિકો બેરોજગારઃ સંક્રમણ વધવાના ભયના કારણે ઓડિશાના શ્રમિકોને મકાનો ખાલી કરાવ્યા

સુરત: શહેરના પાંડેસરા, ઉધના, ભેસ્તાન, સચીન અને અમરોલી વિસ્તારમાં લાખોની સંખ્યામાં ઓડિશાના લોકો રહે છે અને અહીં વિવિંગ ઉદ્યોગમાં નોકરી કરે છે, પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતા ઉદ્યોગને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી ઓડિશાના શ્રમિકોની હાલત કફોડી બની છે. બંધના કારણે હવે આ શ્રમિકો રોજીરોટી ગુમાવી ચૂક્યા છે. હાલ તેમની પાસે કોઈ કામ નથી અને બીજી બાજુ મકાનમાલિકો તેમને મકાન ખાલી કરવા કહી રહ્યા છે. આ શ્રમિકો 10 બાય 10ના મકાનમાં ચાર તો અન્ય એક મકાનમાં 10થી 15 જેટલા લોકો રહે છે. આવી પરિસ્થિતિમાં સંક્રમણ એકબીજાને થાય તેવી શક્યતા વધી જતી હોય છે. જેના કારણે ઓડિશાના શ્રમિકોને મકાનમાલિક બીજા મકાનમાં જવા માટે અથવા તો મકાન ખાલી કરી વતન જવા માટે કહી રહ્યા છે. જેના કારણે તેમની પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે અને તેમને વતન જવા માટે મજબૂર થયા છે. સુરતના અનેક વિસ્તારોમાં ઓડિશાના શ્રમિકો લાખોની સંખ્યામાં પોતાના વતન ચાલ્યા ગયા છે. અનેક મકાનોમાં તાળા લાગી ગયા છે. એક શ્રમિકની મહિનાની આવકની જો વાત કરવામાં આવે તો આવક 15,000 થી 20,000 હોય છે. જ્યારે અંદાજીત 1700થી 2000 રૂપિયા મકાનનું ભાડુ ચૂકવે છે. હાલની પરિસ્થિતિને જોતા તેમને વતન જવાનો નિર્ણય કર્યો છે.

બીજા મકાનમાં રહેવા જશે, તો વધારે ભાડું ચૂકવવું પડશે

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વાસુદેવે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં તેઓ પોતાના વતન ઓડિશા જવાના છે. કારણ કે, હાલ કોરોનાની પરિસ્થિતિમાં ઉદ્યોગો બંધ છે અને તેમની પાસે રોજગારી નથી. તેમને એક જ મકાનમાં 10થી 12 લોકો રહે છે અને મકાનમાલિકે જણાવ્યું છે કે, જો કોરોનાની આવી જ પરિસ્થિતિ રહેશે, તો તેમને બીજા મકાનમાં ચાલ્યા જાય અથવા તો વતન માટે રવાના થાય હાલ તેમની પરિસ્થિતિ સારી નથી અને બીજા મકાનમાં રહેવા જશે, તો વધારે ભાડું ચૂકવવું પડશે. જેથી તેમને વતન જવા માટે પોતાની તૈયારી બતાવી છે.

મકાનમાલિકે તેમને મકાન ખાલી કરવા જણાવ્યું

વાસુદેવની જેમ બુધિયા પણ ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરે છે. તેમને જણાવ્યું હતું કે, 10 બાય 10ના મકાનમાં ચાર ઓડિશાના શ્રમિકને રહે છે. હાલ તેમની પાસે નોકરી નથી. આખો દિવસ ઘરમાં રહેવું પડે એવી સ્થિતિ છે. બીજી બાજુ એક જ મકાનમાં ચાર લોકો રહેતા જો કોઈને કોરોના સંક્રમણ થાય તો બીજાને ચેપ લાગવાની સંભાવના વધી જતી હોય છે. જેથી મકાનમાલિકે તેમને મકાન ખાલી કરવાનું કહ્યું છે અને નોકરી ન હોવાના કારણે તેમને પોતાના વતન જવા માટે મજબૂર થયા છે.

50 ટકાથી વધુ ઓડિશાના શ્રમિકો પલાયન કરી ચૂક્યા છે

ઓડિશા સમાજના આગેવાન શ્રીકાન્ત રાઉતે પણ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રોજગારી ન હોવાના કારણે સુરત શહેરમાંથી 50 ટકાથી વધુ ઓડિશાના શ્રમિકો પલાયન કરી ચૂક્યા છે અને આ મહિનાનો પગાર જ્યારે મળશે ત્યારે બાકીના શ્રમિકો પણ પોતાના વતન ચાલ્યા જશે. તેમને જણાવ્યું હતું કે, શ્રમિકો પલાયન ન કરે તે માટે અમે સતત તેમને સમજાવી રહ્યા છે. પરંતુ હાલ કેટલાક મકાનમાલિકો શ્રમિકોને પોતાના વતન જવા માટે કહી રહ્યા છે. કારણ કે એક જ મકાનમાં 10થી વધુ લોકો રહે છે અને કોરોના સંક્રમણ ચેપ અન્યને લાગે તેવી સમસ્યા ઊભી થઈ શકે છે. જેથી તેમને મકાન ખાલી કરવા જણાવી રહ્યા છે.

(4:47 pm IST)