Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ભારત ફરી બનશે “સોને કી ચિડિયા” ! : રાજ્યપાલનું “પ્રાકૃતિક કૃષિ-પ્રકૃતિના શરણે” પરીસંવાદમાં સંબોધન

ખેતી અને ખેડૂત આત્મનિર્ભર બનશે ત્યારે ભારત પણ આત્મ નિર્ભર બનશે, ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરીએ – રાજ્યપાલ

નડિયાદ તા.06 : નડીયાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં “પ્રાકૃતિક કૃષિ-પ્રકૃતિના શરણે” પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો  જોડાયા હતા. તેમજ પરીસંવાદના માધ્યમથી ગામ દીઠ ૭૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

વડપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા અને ખેડા જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં આ પરીસંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પરીસંવાદના માધ્યમથી ગામ દીઠ ૭૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ-પ્રકૃતિના શરણે પરીસંવાદ અંતર્ગત રાજ્યપાલએ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃત્તિક ખેતી દ્વારા મેળવેલ ઉત્પાદોના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

રાજ્યપાલ દેવવ્રતે ખેડૂતોને કેવી રીતે પ્રાકૃત્તિક ખેતી કરવી તથા તેનાથી થતા આર્થિક, શારીરિક સ્વાસ્થ્ય તથા પર્યાવરણમાં થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય દેવવ્રતે આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિથી ખેતીને ઝેરમુક્ત બનાવી, દેશ-દુનિયા માટે આદર્શરૂપ બને. રાજ્યપાલે આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે પ્રત્યેક ગામના ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેઓ આગ્રહ પણ કર્યો હતો.

રાજ્યપાલે જણાવ્યું હતું કે, ભારતના ખેડૂત અને કૃષિ આત્મનિર્ભર બનશે. ત્યારે ભારત દેશ આત્મનિર્ભર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના ખેડૂતોને રાસાયણિક કૃષિને તિલાંજલી આપી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે, કારણ કે પ્રાકૃતિક કૃષિ જ ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ પ્રકૃતિથી દૂર જવાની સજા ભોગવી રહ્યું છે. રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઈ રહ્યા છે. જંતુનાશકોના ઝેરથી, દૂષિત આહાર આરોગવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના લોકો ભોગ બની રહ્યા છે.

રાજ્યપાલે જણાવ્યું હતું કે આઝાદી બાદ ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિ હેઠળ રાસાયણિક કૃષિ અપનાવી દેશની અન્ન સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાયો છે. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે રાસાયણિક કૃષિનો વિકલ્પ શોધવો આવશ્યક છે. પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ ગણાવી રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને ખેતી અને ખેડૂતની સમૃદ્ધિ માટે આવશ્યક ગણાવી હતી.

રાજ્યપાલે જળ, જમીન અને પર્યાવરણની રક્ષા માટે, સ્વાસ્થ્યપ્રદ આહાર માટે તેમજ ખેડૂતોની સમૃદ્ધિ માટે, પ્રાકૃતિક કૃષિને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવો હોય છે. જ્યારે ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ, ગૌમૂત્ર દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર બનાવવામાં આવે છે. જે કલ્ચરનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં વાવણી સમયે દેશી ગાયના છાણ, ગૌમૂત્રથી તૈયાર થયેલા બીજામૃતથી બીજને સંસ્કારીત કરવામાં આવે છે. બીજનું અંકુરણ ઝડપથી થાય છે. જીવામૃત અને ઘન જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મ-જીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે.

રાજ્યપાલે અળસિયાને ખેડૂતોના મિત્ર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અળસિયા જમીનમાં અસંખ્ય છેદ બનાવે છે. જેનાથી જમીનમાં પૂરતો ઓક્સિજન પહોંચે છે. અળસિયા માટી, વનસ્પતિ ખાઈને જમીનમાં વર્મીકમ્પોસ્ટનું નિર્માણ કરે છે. અળસિયા દ્વારા બનાવાયેલા છેદથી પ્રાકૃતિક રીતે જળસંચય થાય છે.

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંત, સાક્ષર અને સરદારની ભૂમિ પર મહામહિમ રાજ્યપાલને આવકાર્યા હતા. તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સ્પષ્ટ તથા સરળ માર્ગદર્શન આપતા રાજ્યપાલનો આભાર વ્યકત કર્યો હતો. અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નયનાબેન પટેલે ખેડા જિલ્લામાં એ.જી.આર, ખેડૂત હાટ, ખેડૂતોને ટ્રેક્ટર માટે ૪૫૦૦૦ થી ૫૦,૦૦૦ની સહાય, કિસાન પરિવહન સાધન, ભૂગર્ભ કૂવા, આઈ-ખેડૂત પોર્ટલ, દેશી ગાય નિભાવ વગેરે યોજનાઓની સહાય પુરી પાડવા બદલ જિલ્લા ખેતીવાડી વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી.

(8:18 pm IST)