Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

‘બેરોજગાર હટાવો’ અંતર્ગત રોજગાર અમારો નારો, રોજગાર અમારો અધિકાર :કોંગ્રેસે કાર્યક્રમ યોજયો

શિક્ષિત યુવાનો ભાજપ સરકારની ખોટી નીતિઓ અને શાસનને કારણે બેરોજગારીનો ભોગ બન્યાં: રોજગારના નામે શોષણ : યુવાનોને રોજગારી આપવાને બદલે લોકોના પરસેવાના ટેક્ષ પૈસાથી ઉજવણીઓ – તાયફાઓ

અમદાવાદ :કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘બેરોજગાર હટાવો’ અભિયાન અંતર્ગત રોજગાર અમારો નારો, રોજગાર અમારો અધિકાર છે. નારા સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષિત યુવાનો ભાજપ સરકારની ખોટી નીતિઓ અને શાસનને કારણે બેરોજગારીનો ભોગ બન્યાં છે, રોજગારના નામે શોષણ થઈ રહ્યું છે, ભાજપ આવી ત્યારથી શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ કર્યું છે.

મોંઘુ શિક્ષણ લીધા પછી પણ ગુજરાતના યુવાનોને રોજગાર મેળવવાથી વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. રોજગાર માટે સતત સંઘર્ષ કરી રહ્યાં હોય, યુવાનોને રોજગારી આપવાને બદલે લોકોના પરસેવાના ટેક્ષ પૈસાથી ભાજપ સરકાર ઉજવણીઓ – તાયફાઓ કરી રહી છે. આ ઉજવણી શેના માટે ? શિક્ષણ મોંઘુ થયુ એના માટે ? યુવાનોને રોજગાર નથી મળતો એના માટે ? યુવાનોને રોજગારના નામે આઉટ સોર્સીંગ – કોન્ટ્રાક્ટ પ્રથાના નામે જે શોષણ થઈ રહ્યું છે એની ઉજવણી કરી રહ્યાં છો? ભરતીના નામે જે નાટકો કરી રહ્યાં છો તે બંધ કરો. ભરતીના નામે વિદ્યાર્થીઓ ફોર્મ ફી પેટે લાખો રૂપિયા જમા કરવાતા હોય છે, પરીક્ષાઓ જે ચોક્કસ સમયમર્યાદામાં થવી જોઈએ તે થતી નથી, પેપર ફુટી જાય છે, પરીણામ નથી આવતુ, ભરતીમાં ગોટાળા થાય છે અને લાખોની અરજી આવ્યા પછી પણ પરીક્ષાઓની તારીખો જાહેર થતી નથી. ગુજરાતના યુવાનો તરફથી એક જ હાંકલ કરીએ છીએ રોજગાર આપો – રોજગાર આપો.

વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર રોજગાર કચેરીએ બેરોજગારોની નોંધણી ઘટાડતી જાય છે અને નોંધાયેલા બેરોજગાર યુવાનોને પણ ફક્ત કોલ લેટર આપી રોજગાર કચેરીમાંથી નામ હટાવવાનું ષડયંત્ર ચાલે છે. સરકારી બેંકો શિક્ષિત યુવાનોને ઓછા વ્યાજે સસ્તી લોન પણ આપતી નથી અને વ્યાજખોરોનો ભોગ બનતો ગુજરાતનો યુવાન નિરાશામાં ધકેલાઈ ગયો છે.

કોંગ્રેસે સરકાર સામે શું કર્યા આક્ષેપ ?

  • ગુજરાતના શિક્ષિત યુવાનોનું કોન્ટ્રાક્ટ, ફીક્સ પગાર, આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે.
  •  સરકારી ભરતીઓમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરીયાદો, જી.પી.એસ.સી., ગુજરાત ગૌણ સેવા આયોગ, ગુજરાત પંચાયત પસંદગી મંડળમાં સરકારી નોકરી માટેના ભાવો 15 થી 18 લાખ સુધીના બોલાય છે.
  •  ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા 40 લાખથી પણ વધુ પહોંચી ગઈ છે
  •  આંગણવાડીની બહેનો, આશાવર્કર, એનએચએમના કર્મચારીઓ, ડ્રાઈવર / કંડક્ટર, સફાઈ કામદારો,પ્રવાસી શિક્ષકો, સરકારી વિભાગો, કોર્પોરેશન, નિગમોમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા વર્ગ-3/4ના કર્મચારીઓ ભાજપ સરકારની શોષણની નીતિનો ભોગ બન્યા છે. તેઓની સમાન કામ-સમાન વેતન અને કાયમી રોજગારીની માંગણી ગુજરાત સરકારે અભરાઈએ ચડાવી દીધી છે.
  •  સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર, નર્સો અને મેડીકલ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવતી નથી, સ્ટાફની અછતના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.
  • છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના શાસન દરમ્યાન ગુજરાતની એક આખી નવી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. કોન્ટ્રાક્ટ પ્રથા” અને ફિક્સ પગાર તથા સહાયક જેવા નુસ્ખા
  • કોન્ટ્રાક્ટપ્રથા કે ફિક્સ પગારની ભરતી કરી તેનાં ભાગની સંસ્થાઓના ટ્રસ્ટો, મળતિયાઓ, દલાલો દ્વારા જંગી રકમનો ભ્રષ્ટાચાર આદર્યો.
  • તલાટી-ભરતી બિન સચિવાલય કલાર્ક ભરતી, વિધાસહાયક ભરતી જેવી તમામ ભરતીઓમાં બેફામ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની ફરિયાદોથી ગુજરાતનો યુવાન દિગ્મૂઢ.
  • ભાજપે કરી નહીં દરકાર યુવાનો થયા છે બેકાર
  • ભાજપ સરકાર છે બેદરકાર.
  • મધ્ય પ્રદેશની ભાજપ સરકારના ‘‘વ્યાપમ કૌભાંડ” ની જેમ ગુજરાતમાં સરકારી નોકરી – ભરતીમાં ‘‘વ્યાપક કૌભાંડ” આચરવામાં આવી રહ્યું છે.
  • 2018માં પંચાયત તલાટી – કલાર્કની 2937 જગ્યા માટે 35 લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર.
  • તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી 20 કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા.
  • ગુજરાતમાં 17265 ગ્રામ પંચાયતમાં 7133 તલાટીની જગ્યાઓ સામે માત્ર 3500 જેટલા જ તલાટી હાલમાં કામગીરી કરી રહ્યા છે. એટલે કે 5 ગામ વચ્ચે 1 તલાટી
  • ‘‘વાંચે ગુજરાત”ની જાહેરાત કરતી ભાજપ સરકારે 15 વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી
  • ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો / અધ્યાપકોની 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. શું આ રીતે રમશે ગુજરાત ?
    તલાટી ભરતી માટે 15-15લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું
(8:15 pm IST)