Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ખોટી રીતે ખેડૂત બની જમીન પચાવી પાડનારા તત્વો ચેતે:રાજય સરકાર કોઈને બક્ષસે નહી: ફર્જી દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર તત્વો પાસેથી જમીન રાજય સરકાર પરત મેળવશે : ચોકકસ સમાજના લોકો દ્વારા ખોટી રીતે જમીનના દસ્તાવેજો કરી આચરાયું કૌભાંડ :મંદિર હસ્તકની જમીનો પણ પોતાના નામે કરી : ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કરતા મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી

ચોકકસ સમયગાળા દરમ્યાન મોટા પાયે બનાવટી ખેડૂતો દ્વારા માતર તાલુકામાં જમીન જેહાદના મુળ સુધી પહોંચી કાયદા અન્વયે કાર્યવાહી કરવામાં આવશે

રાજકોટ તા.૬ : મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજયના ગરીબ પરિવારોની મહામૂલી જમીન ખોટી રીતે પચાવી પાડી ખેડૂત બનતા તત્વો ચેતી જાય, આવા તત્વોને રાજય સરકાર બક્ષસે નહી. આવી ખોટી રીતે ફર્જી દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર તત્વો પાસેથી તમામ જમીન રાજય સરકાર પરત મેળવશે.

ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કર્યા બાદ મીડિયાને માહિતી આપતાં મહેસૂલ મંત્રી શ્રી એ કહ્યું હતું કે, કોઈ એક ચોકકસ સમાજના લોકો દ્વારા ખોટી રીતે જમીનોના દસ્તાવેજો કરી આ કૌભાંડ આચરાયું છે. ફર્જી ખેડૂત બનવા માટે ફંડીંગ કરાતું હોય એવું પણ તંત્રના ધ્યાને આવ્યું છે અને આવા તત્વો દ્વારા મંદિર હસ્તકની જમીનો પણ પોતાના નામે કરી છે આવા તત્વોને રાજય સરકાર છોડશે નહી.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે,જે વ્યકિતઓ બનાવટી ખેડૂત બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેશે તથા ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે ખેડૂત બનાવટી ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે તેને રાજ્ય સરકાર આકરી સજા કરશે.બનાવટી ખેડૂત જે હશે તેની જમીન સરકાર હસ્તક લેવામાં આવશે. આજે સવારે કચેરી ખુલવાના સમયે જ મંત્રીશ્રીએ માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઇ ચકાસણી કરી હતી.

આ તપાસમાં કુલ ૧૭૩૦ ફેરફાર નોંધોની ચકાસણી કરેલ, જે પૈકી ૬૨૮ નોંધો શંકાસ્પદ જણાતા ૬૨૮ કેસમાં પ્રાથમિક તપાસ માટે નોટીસ આપી છે તથા કુલ ૨૬૦ કેસ ગણોત ધારાની કલમ ૮૪(સી) હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર જણાતા તે અંગે નોટીસ આપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અગાઉના ૫ વર્ષના કેસોની પણ ચકાસણી શરૂ કરાવી છે. આ ૨૬૦ કેસ જેની સામે કાર્યવાહી શરૂ કરી છે તે જમીનો આશરે ૧૯૦૦ વીઘા જેટલી મોટી માત્રામાં છે અને તેની અંદાજીત બજાર કિંમત જોઇએ તો આશરે ૨૦૦ કરોડ રૂપિયાની આસપાસ થાય છે.

મહેસુલ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે, સાચા વ્યક્તિને કોઈ દંડ ન થાય અને ખોટો વ્યક્તિ બચી ન જાય તેની મહેસુલ વિભાગ કાળજી રાખશે. એક જ સમાજના વ્યકિતઓ વધુ પ્રમાણમાં ખેડૂતોની જમીન લઇ રહ્યા છે. તે માતર અને રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે. જો કોઈ ગેરકાનૂની કામમાં કોઈ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશે તેને પણ સરકાર છોડશે નહિ. આ તપાસમાં કસુરવાર તમામ વ્યક્તિઓ સામે કોઇપણ નાત, જાત, ધર્મની હશે કે કોઇપણ પદ, હોદ્દાની ઉપર હશે કોઇની પણ શેહ શરમ રાખ્યા સિવાય દરેકની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બનાવટી ખેડૂતની માહિતી ગુજરાત સરકારને હર હંમેશ મળતી હોય છે. બનાવટી ખેડૂતની મળતી માહિતી મુજબ ૨૦૧૨-૨૦૧૩મા કેટલાક કેસો જોવામાં આવ્યા છે. આ કામગીરીમાં માતરના અધિકારીઓ પર પણ આક્ષેપો થયા છે. કસુરવાર અધિકારીઓને પણ છોડવામાં આવશે નહી તેમ જણાવી મહેસુલ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, બનાવટી ડોક્યુમેન્ટ જે પણ વ્યક્તિ એ રજુ કર્યા છે એમની સામે કોર્ટની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગ પણ આ કામગીરીમાં મહેસુલ વિભાગ સાથે સંકલનમાં છે.

મહેસુલ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતનો દરરજો એ ધરતીના તાતનો દરજ્જો છે. કલોલ, પેટલાદ, રાણપુર, મહેમદાવાદ, પ્રાંતિજ, નડિયાદગ્રામ્ય, ધંધુકા, જોડિયા, સાણંદ, વેજલપુર, ઉંજા, તારાપુર, સોજીત્રા, બોરસદ,શહેરા, ખેડા, ડભોઇ, મહુધા, સાંથલપુર, અંકલેશ્વર, થરાદ, ખંભાળિયા, વલ્લભીપુર તથા અન્ય જિલ્લા અને ગામોના ભળતા નામો વાળા ખેડૂત ખાતેદાર હોય તેવી વ્યક્તિઓના ૭/૧૨ના ઉતારા મેળવી નિયમિત રીતે વેચાણમાં આપેલી જમીનો ખોટી રીતે નોંધો પડાવી છે, આ ખોટી નોંધોમાં તંત્રની ચૂક અને ઈરાદામાં ખોટ હોઇ શકે છે. એની તપાસ પણ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવશે. આવા કિસ્સામાં જાગૃત  નાગરિકોએ મહેસુલ વિભાગને જાણ કરી છે. મહેસુલ મંત્રીશ્રીએ તંત્રને જાણ કરવા બદલ નાગરિકોનો આભાર માન્યો. કરોડો રૂપિયાની જમીનના પૈસા જે તે સમાજના લોકો પાસે ક્યાંથી આવ્યા તેની તપાસ પણ મહેસુલ વિભાગ દ્વારા કરવામા આવશે.

મહેસુલ મંત્રીશ્રી એ ગુજરાતના તમામ મામલતદારોને જમીનને લગતા કેસોમાં કાળજી લેવાનું સૂચવ્યું. માતર ખાતે એક કેસમાં જમીન ૩ વ્યક્તિના નામે હતી. વર્ષ ૨૦૦૬ માં વારસાઈ થતા ૪૪ વ્યક્તિઓના નામે જમીન દાખલ થઇ હતી. આ કેવી રીતે શકય બને તેમ મહેસુલમંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

મહેસુલમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એ દુઃખ વ્યકત કરતા કહ્યું કે, ભગવાનના મંદીરને પણ આ લોકો છોડતા નથી.  વણસર ગામના  મહાદેવના મંદિરના નામે બોલાતી જમીન પણ  વહીવટકર્તાએ જમીન વેચાણમાંથી પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દીધું અને એ રીતે આ જમીન ખરીદી છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલે છે. ભગવાન મહાદેવની મંદિર જે વ્યક્તિએ લીધી છે, એને છોડવામાં આવશે નહિ.

ગુજરાત સરકાર કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થાનની, ખેતીની, જમીનમાં વહીવટકર્તાનું નામ ઘુસાડી અને પડાવી લેવા વિચારતા વ્યક્તિને નહિ છોડે. માતરમાં એક ધર્મના ખાતેદારની જમીનમાં વીલથી અન્ય ધર્મના વ્યક્તિનું નામ દાખલ થયું છે અને માતરમાં એક બારોટની જમીનને ગઢવીના નામે ખોટી રીતે કરવામાં આવી છે તેની પર પણ કેસ કરવામાં આવશે. આ તમામ જમીન સરકાર હસ્તક લેવાની તમામ કાર્યવાહી કરવામાં આવશે. મહેમદાવાદ તાલુકાના રૂદણની જમીન એક બહેનના નામે હતી જેનું નામ બદલીને અન્ય બહેનનું ભળતું નામ કરી નાંખવામાં આવ્યું. હકીકતમાં આ બંને બહેનાના નામ ફેર હતા પરંતુ વ્યક્તિ એક જ હતી. અને ત્યાર બાદ તેમના પૌત્ર ગુલામ નબીનું નામ દાખલ કરવામાં આવ્યું. આ બહેન સામે પણ કેસ કરવામાં આવશે અને ફોજદારી ફરિયાદો કરવામાં આવશે તેમ મહેસુલમંત્રીશ્રી એ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે ગુજરાત અને સમગ્ર દેશ-વિશ્વમાં અમદાવાદ દેશનું આર્થિક અને મહત્વનું શહેર બની રહયું છે. ત્યારે તેના વિકાસને અવરોધવા માટે અમદાવાદ શહેરની આજુબાજુના મહત્વના શહેરો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ખેડુત બની મોટા પાયે ખેતરની જમીનો ખરીદીને ખેડુત બનાવી દેવામાં આવે છે. એ પણ તપાસનો વિષય છે કે મોટા પાયે જમીનો ખરીદવાના આટલા બધા રૂપિયા પણ કયાંથી આવે છે. પરંતુ દેશ વિરોધી તત્વોના આવા કારસ્તાનોને સફળ થવા દેવામાં આવશે નહિં.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી  કેસરીસિંહ સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીશ્રી કાચા, મામલતદારશ્રી ભગત સહિત મહેસુલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિલીપ ગજજર

(4:29 pm IST)