Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

નડિયાદ તાલુકાના ચલાલી ગામે લાજ કાઢવા જેવી નજીવી બાબતે પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ: તાલુકાના ચલાલી ખાતે રહેતી પરિણીતા સાથે બનાવ પામતાં આ અંગે પોલીસે પતિ, સાસુ-સસરા અને જેઠ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


મળતી માહિતી અનુસાર નડિયાદમાં રહેતી ૨૦ વર્ષીય શિતલના લગ્ન નડિયાદ તાલુકાના ચલાલી શક્તિનગર વિસ્તારમાં રહેતા પરેશ અરવિંદભાઈ સાથે એક વર્ષ અગાઉ થયા હતા. ગત ૩૦ જુલાઈના રોજ લાજ કાઢવા બાબતે પરિણીતાને પોતાના પતિ તથા સાસુ સસરા સાથે બોલાચાલી થઈ હતી અને આ બાબતે અવારનવાર ઘરકંકાસ પણ થતો હતો. ઉપરાંત ઘરના કામકાજ બાબતે પણ ઝઘડો થતાં તેના સાસરિયાઓ તેણી પર અત્યાચાર ગુજારીને મારઝુડ કરતા હતા.

પરિણીતાએ પોતાના પતિ વિરૂદ્ઘ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની વાત કરતા આક્રોશમાં આવી ગયેલા પતિએ તેણીની સાથે મારામારી કરી હતી. જેમાં જેઠ અને સાસુ સસરાએ પણ છોડાવવાના બદલે તેમના દિકરાનો સાથ આપ્યો હતો. આથી પરિણીતાએ પોતાની માતાને બોલાવી પિયરમાં જતી રહી હતી. પિયરમાં આવેલી પરિણીતાને હાથમાં દુ:ખાવો રહેતા એક્સરે પડાવતા ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ સમગ્ર મામલે પોતાના પતિ પરેશ અરવિંદભાઈ તળપદા, સાસુ શારદાબેન અરવિંદભાઈ તળપદા, સસરા અરવિંદભાઈ ચતુરભાઈ તળપદા અને જેઠ પીન્ટુભાઈ અરવિંદભાઈ તળપદા (તમામ રહે. ચલાલી, તા. નડિયાદ) સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:13 pm IST)