Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોરોનાના નિયમોનો ભંગ કરનારા એક લાખથી વધુ લોકોની અત્યાર સુધી ધરપકડ

અમદાવાદીઓ માટે શરમજનક આંકડો : માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે કારણોસર કેસ થયા

અમદાવાદ, તા.૫ : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને અત્યારે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. આ વેરિયન્ટ વધારે પ્રમાણમાં ફેલાય નહીં તે માટે તમામ સરકારો પ્રયત્ન કરી રહી છે. આ સ્થિતિ દરમિયાન અમદાવાદથી એક ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. આંકડાઓ દ્વારા જાણવા મળ્યું છે કે કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ ધરપરડ કરવામાં આવેલા લોકની સંખ્યા એક લાખ થઈ ગઈ છે.

અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ ૧,૦૦,૦૯૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું, માસ્ક ન પહેરવા, કર્ફ્યુના કલાકો દરમિયાન બહાર ફરવું, લોકડાઉનના સમયે બહાર નીકળવું વગેરે પ્રવૃત્તિઓને કારણે સજા કરવામાં આવી છે. આ આંકડો ૨૪ જૂન, ૨૦૨૦થી ૩ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીનો છે. આંકડા પરથી કહી શકાય કે કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી દરરોજ સરેરાશ ૧૯૧ લોકોની ધરપકડ થઈ છે.

એક પોલીસ અધિકારી જણાવે છે કે, અમે કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ ૯૧,૦૩૧ કેસ દાખલ કર્યા છે, જેમાં સરકારી આદેશોની અવગણના કરવી, જાણીજોઈને અથવા અજાણ્યામાં સંક્રમણ ફેલાવવું, ગેરકાયદેસર રીતે એકત્રિત થવું વગેરેને સમાવેશ થાય છે. અમુક કેસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત દાખલ કરવામાં આવ્યા છે. ટુંકમાં કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ ઓછામાં ઓછા એક લાખ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મોટાભાગના લોકોની ધરપકડ કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા બદલ અથવા સોશિયલ-ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરવા બદલ કરવામાં આવી છે. લોકોને આજે પણ રાતે બહાર ફરવાની આદત છે અને પોલીસને ચકમો આપીને તેઓ ગર્વ અનુભવતા હોય છે. પરંતુ જો પોલીસ તેમને પકડે તો ભાવુક થઈને બહાના બનાવતા હોય છે, જેમ કે બીમાર સ્વજન પાસે જતા હતા, વગેરે. પરંતુ અમને ખબર હોય છે કે મોટાભાગના લોકો ખોટું બોલતા હોય છે. અમુક લોકોની ધરપકડ માસ્ક ન પહેરવા બદલનો દંડ ના ભર્યો હોવાને કારણે કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, રાજ્ય સરકાર અત્યારે ઓમિક્રોન સામે લડવાની તૈયારી કરી રહી છે ત્યારે અમે સુનિશ્ચિત કરીશું કે કોરોનાના નિયમોનું પાલન ચુસ્તપણે કરવામાં આવે.

(8:59 pm IST)