Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ' ઉજવાયો : ગૃહ રાજ્યમંત્રીશ્રી ના હસ્તે કોરોના વોરિયર્સના આશ્રિતોનુ સન્માન કરાયું : ગૃહ રાજ્યમંત્રી એ શૌર્ય પૂર્ણ કામગીરી કરનારા જવાનો ને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરી બિરદાવ્યા

કોરોના કાળમાં ૪૬ હોમગાર્ડ જવાનોના બલિદાનને સરકાર અને રાજ્ય હંમેશા યાદ રાખશે : રાજ્યના હોમગાર્ડ જવાનો માનવતાવાદી પ્રવૃત્તિઓનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે : હર્ષ સંઘવી

રાજકોટ તા.૬ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અમદાવાદના લાલ દરવાજા સ્થિત હોમગાર્ડ ગ્રાઉન્ડ ખાતે 'હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી પ્રસંગે હોમગાર્ડ જવાનોની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના હોમગાર્ડ જવાનો માનવતાવાદી સેવાકીય કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં આવેલી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં હોમગાર્ડ જવાનો હર હંમેશ ખડેપગે કાર્યરત  રહ્યા છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે કોરોના કાળમાં લોકડાઉનના સમયગાળામાં પણ હોમગાર્ડ જવાનોએ રાજ્ય પોલીસ સાથે ખભેખભા મિલાવીને પોતાની જવાબદારી સહર્ષ નિભાવી છે.

કોરોના કાળમાં પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવતા શહીદ થયેલ ૪૬ હોમગાર્ડ જવાનોના બલિદાનને રાજ્ય સરકાર અને રાજ્યના નાગરિકો હર હંમેશ યાદ રાખશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ બલિદાનને અમર કરવા ગૃહ રાજ્યમંત્રીએ જિલ્લાસ્તરે પ્લાટુનના વ્યવસ્થાપન કરતા અધિકારીશ્રીઓ આને પ્લાટુનના પરિવારજનોને કોરોના વોરિયર્સ ના આશ્રિતોને સહયોગી બનવા અપીલ કરી હતી.

સિવિલ ડિફેન્સના જવાનો પણ રાજ્યની વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરે છે તેમ જણાવી સીવીલ ડીફેન્સ ને ઉપયોગી સાધનસામગ્રી તેમજ વિવિધ ક્ષેત્રમાં રીફોર્મસ લાવવા રાજ્ય સરકાર તત્પર હોવાનું રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

હોમગાર્ડ અને સીવિલ ડિફેન્સના જવાનો દ્વારા પરેડ માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી. આ કાર્યક્રમમાં આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિક સરક્ષણની કામગીરી કેવા પ્રકારની હોય તેનું પણ નિરક્ષણ કરવામાં આવ્યું હતું. 

કોરોના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સ ના આશ્રિતોને ગૃહરાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રકો આપી અને શૌર્યપૂર્ણ કામગીરી કરનાર જવાનોને બિરદાવવામાં  આવ્યા હતા..

હોમગાર્ડ બેન્ડ દ્વારા કરતલધ્વની અને વિવિધ સૂરાવલિઓથી ગૃહ રાજ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું.

આ ઉજવણીના અવસરે અમદાવાદ શહેર શ્રી કિરીટભાઈ પરમાર, શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, હોમગાર્ડ આને  સીવીલ ડીફેન્સ ના વડા, સહિતના પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    અમિતસિંહ ચૌહાણ

(2:31 pm IST)