Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સુરતમાં કર્મકાંડી બ્રાહ્મણ એટીએમ તોડવા પહોંચ્યો

પત્નીએ કહ્યુ પૈસા લીધા વગર ઘરે ન આવતા : કોરોનાને કારણે નોકરી ધંધાવાળા જ નહીં પરંતુ ધાર્મિક કર્મકાંડ કરતા લોકોને પણ ભારે તકલીફ પડી રહી છે

સુરત,તા. :  કોરોના વચ્ચે છેલ્લું એક વર્ષ દરેક વ્યક્તિ માટે ભારે મુશ્કેલી ભર્યું રહ્યું છે. સમયગાળા દરમિયાન ઘણા લોકોની નોકરી જતી રહી, વેપાર ધંધા પડી ભાંગ્યા. કોરોનાની અસર કર્મકાંડ કરતા ભૂદેવો પર પડી છે. તેનો અંદાજ તમે સુરતમાં સામે આવેલી ઘટના પરથી લગાવી શકો છો. બન્યુ એવું કે એક કર્મકાંડી બ્રાહ્મણ યુવક પત્ની સાથે માથાકુટ થતા પિયર ચાલી ગઈ. પત્નીએ કહ્યું કે પૈસા લઈને ઘરે આવતો. બસ પછી શું ભૂદેવે વિચાર કર્યો અને અડધી રાત્રે એટીએમ તોડવા માટે પહોંચી ગયા. જોકે સીસીટીવીના આધારે પોલીસ ત્યાં પહોંચી તે યુવકને પકડી પાડવામાં આવ્યો. મહિધરપુરા પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ પાર્થ ભીખાભાઇ રાવળની અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે પાર્થ કર્મકાંડી બ્રાહ્મણ છે અને તેના પિતા ટિફિન સર્વિસનું કામ કરે છે. પાર્થની પત્ની થોડા દિવસો પહેલાં પૈસા કમાવા બાબતે ઝઘડો કરીને પિયર રહેવા ચાલી ગઇ હતી. પત્નીના ટોણાંથી પાર્થને લાગી આવ્યું હતું જેથી તેને એટીએમ તોડી મોટી કેશ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. શનિવારે રાત્રે એક વાગ્યાની આસપાસ પાર્થ દિલ્હીગેટ ચારરસ્તા ખાતે શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં સળિયો લઈને પહોંચી ગયો. જ્યાં તેણે એટીએમ તોડવાના તમામ પ્રયત્નો કર્યા.

દરમિયાન સિક્યોરિટી એજન્સીને સીસીટીવીમાં કોઈ વ્યક્તિ તોડફોડ કરતું નજરમાં આવ્યું. જેથી તેમણે સ્થાનિક અધિકારીઓને જાણ કરી. જેથી તુરંત સિક્યોરિટી એજન્સી અને પોલીસ એટીએમ સેન્ટર પર પહોંચી અને એટીએમમાં તોડફોટ કરતા પાર્થની અટકાયત કરી હતી. પોલીસે તેની સામે ફરિયાદ નોંધી અને પોલીસ ફરિયાદ મુજબ પાર્થે એટીએમમાં ૯૦ હજાર રૂપિયાનું નુકાસન કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(10:02 pm IST)