Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગુજરાતમાં 108 ઇમર્જન્સી એર એમ્બ્યુલન્સથી રાજ્યના પ્રથમ દર્દીને રાજકોટમાંથી ચેન્નાઈ એરલિફ્ટ કર્યો

રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જયકુમાર મકવાણા ફેફસાની બીમારીથી પીડાતા હતા તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરાયા

અમદાવાદ : રાજ્ય સરકારે 108 ઇમર્જન્સી સેવાના સહયોગથી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે.આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જયકુમાર મકવાણા બન્યા છે. તેવો ફેફસાની બીમારીથી પીડાતા હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી તેઓને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. ગત માસે રાજ્ય સરકાર દ્વારા 108 સેવામાં હવાઈ સેવાને સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી હતી.

રાજકોટ 108 ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરના જણાવ્યા મુજબ આ એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જયારે અમદાવાદથી આવતી એર એબ્યુલન્સ ખુબ ઝડપી રીતે ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય.

 

108  સેવા સાથે જોડાયેલી એર એમ્બ્યુલન્સમાં પણ 108 વાનની જેમ સાધન સુવિધાથી સજ્જ હોઈ છે. એર એમ્બ્યુલન્સમાં એમ.બી.બી.એસ. ડોક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ હાજર હોઈ છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી મુજબ સાધનો અને દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે.

 

આ સેવાનો લાભ કેવી રીતે લેવો તે અંગે મિલનભાઈ જણાવે છે કે, આ માટે સૌપ્રથમ 108 માં કોલ કરવો પડે છે, કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલનસ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે, તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકે છે.આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટ થી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટસુધી પહોંચવા માટે 108 વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા 108 હવાઈ સેવા શરુ કરતા આવનાર સમયમાં ઈમરજન્સીમાં દેશના કોઈપણ છેડે કલાકોમાં દર્દીને સલામત રીતે સ્થળાંતરિત કરી શકાશે, જેનો પ્રારંભ રાજકોટના દર્દીથી થયો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ઈમરન્જસીમાં જરૂરિયાતમંદ દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવા GVK EMRI ના સહયોગથી 108 સેવા કાર્યરત કરવામાં આવી છે. જેનો લાભ અનેક દર્દીઓને અત્યાર સુધીમાં મળ્યો છે.

   
 
   
(9:07 pm IST)