Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

નવસારીમાં સોશ્‍યલ મીડિયા સાઇટ પર કોમી વૈમનસ્‍ય ફેલાવી ટીકા-ટિપ્‍પણ કરતા અબ્‍દુલ કાદીર સૈયદ સહિતના અન્‍ય શખ્‍સોની ધરપકડ

સોશ્‍યલ મીડિયામાં મેસેજની ખરાઇ કર્યા વિના ફોરવર્ડ કરવુ કે નિવેદન આપનાર સામે પોલીસની બાજનજર

નવસારીઃ નવસારીમાં સોશ્‍યલ મીડિયા પર કોમવાદ ભડકાવવાનો પ્રયાસ કરનાર હિદયાતનગરમાં રહેતા અબ્‍દુલ કાદીર સૈયદ સહિત અન્‍ય શખ્‍સોને પોલીસે ધરપકડ કરી ગુન્‍હો દાખલ કરી તમામને કોર્ટ સમક્ષ હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભારતમાં કોમી નિવેદનને લઈ ઘણા વિસ્તારોમાં હાલ વાતાવરણ તંગ બન્યુ છે. ત્યારે નવસારી પોલીસે સોશિયલ મીડિયામાં કોમવાદને ભડકાવવા સાથે જ તંગદિલી સર્જાય એવી પોસ્ટ કરનારા 5 ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ભારતના અલગ-અલગ પ્રાંતોમાં કોમવાદની સ્થિતિ તંગ બની છે. ગુજરાતમાં પણ કોમવાદને કારણે તંગદિલી ન સર્જાય એ માટે પોલીસ વિભાગ એલર્ટ થયું છે. જેમાં ખાસ કરીને સોશ્યલ મીડિયા સાઇટ્સ પર પોલીસ કોમવાદ ભડકાવવાના પ્રયાસ કરનારા તત્વો પર બાજ નજર રાખી રહી છે.

થોડા દિવસ અગાઉ શાંતાદેવી રોડ વિસ્તારમાં એક કોમના ઇસમને ધમકી આપી તેની દુકાન બંધ કરાવાઇ હોવાની વહેતી થયેલી વાત બાદ નવસારીની SDPI પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં એક કોમના દુકાનદારની દુકાન બંધ કરાવવા મુદ્દે લોકોમાં વૈમનસ્ય ફેલાય એવી પોસ્ટ કરનારા SDPI ગ્રુપના સભ્યો સામે તપાસ બાદ નવસારી ટાઉન પોલીસ મથકમાં IPC ની વિવિધ કલમો સાથે જ સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

જેને આધારે નવસારી ટાઉન પોલીસે નવસારીના હિદયાત નગરમાં રહેતા અબ્દુલકાદિર સૈયદ, નવસારીના નસીલપોર ગામના આફતાબ દાંતી, મોલધરા ગામના મહંમદ નવસારકા, શહેરના જુનાથાણા સ્થિત ચોપદાર સ્ટ્રીટમાં રહેતા ઇમરાન પઠાણ અને કમેલા રોડ સ્થિત રસીદ મુલ્લાની વાડીમાં રહેતા મોહસીન સૈયદની ધરપકડ કરી તમામને કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં મેસેજ કરતા પહેલા એની ખરાઈ કરવી જરૂરી છે. કારણ સાંભળેલી વાત કે સોશ્યલ મીડિયામાં આવેલા મેસેજની ખરાઈ વિના એને ફોરવર્ડ કરવુ કે એના ઉપર નિવેદન વહેતા કરવા મોંઘુ પડી શકે છે.

(5:54 pm IST)