Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

આગમાં મૃત્યુ પામનારાને કોરોનાથી મૃત્યુ થયાનું દર્શાવ્યું

તંત્રની ઘોર બેદરકારી કે કુણી લાગણી : હોસ્પિટલના માલિકોને બચાવાવા તંત્રએ તમામ હદો વટાવી

અમદાવાદ,તા.૭ :  શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે લાગેલી આગમાં ભડથુ થઇ જનારા આઠ કોરોનાનાં દર્દીઓના મોતમાં સત્તાધીશો હોસ્પિટલના માલિકોને બચાવાવા માટે તમામ હદો વટાવી દેતા આગમાં મરી જનારા દર્દીઓને કોરોનામાં મૃત્યુ પામ્યો હોવાનું દર્શાવ્યુ છે.જેનાથી ચકચાર મચી ગયો છે.નવરંગપુરા વિસ્તારમાં આવેલી ૫૦ બેડની શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે સવારે ૩ વાગ્યે શોર્ટ સર્કિટના કારણે ચોથા માળે આઇસીયુમાં આગ લાગી હતી.આગના લીધે કોરોનાની સારવાર લઇ રહેલા ૮ દર્દીઓના બેડ પર સુતેલી હાલતમાં જ મૃત્યુ થયા હતાં.આ કરુણાતિકામાં પાંચ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.રાજ્યમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અનેકવાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર ડીપાર્ટમેન્ટને ટકોર કરી છે. કોર્પોરેશન અને ફાયર ડિપાર્ટમેન્ટે શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના મુદ્દે જે ઘોર બેદરકારી દાખવી તેની કિંમત આઠ કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારોને ચુકવવી પડી.

          શ્રેય હોસ્પિટલ પાસે ફાયરનું એન ઓસી તો ન જ હતું પરંતુ ફાયર ઓડીટ પણ કરાયું ન હતું. ભાજપ સાથે ઘરોબા ધરાવતા હોસ્પીટલના ટ્રસ્ટી પૈકી ભરત મહંતની સામાન્ય પુછપરછ કરાઇ છે.આ લખાય છે ત્યાં સુધી હોસ્પિટલની સામે એફઆઇઆર ૩૬ કલાક વીતી ગયા હોવા છતાં નોંધાઇ નથી . શ્રેય હોસ્પિટલને ગુરુવારે રાતે નવ વાગે છેક સીલ કરવામાં આવી હતી.આ ઓછું હોય તેમ માનવતાના તમામ નિયમોને નેવે મુકી શ્રેય હોસ્પિટલમાં મૃત્યુ પામનાર ૬૦ વર્ષની વયના પુરુષ નું મોત કોરોનાને લીધે થયું હોવાનું બતાવી આડકતરી રીતે શ્રેય હોસ્પિટલને બચાવવા માટેની કોશિષ થઇ હોવાનું દેખાઇ આવે છે.

(9:54 pm IST)