Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સરખેજ વિસ્તારના નેમિચાર ફાર્મ નજીક થયેલી પ્રમોદ પટેલની હત્યામાં પત્ની જ આરોપી : કિંજલે પતિનો કાંટો કાઢવાનું કહેતા પ્રેમી અમરતે રાજસ્થાનના સુરેશને હત્યા માટે રૂ. ૫ લાખની સોપારી આપી

અમદાવાદ: સરખેજ વિસ્તારમાં આવેલ સંજય આલોકના નેમિચાર ફાર્મ હાઉસ માં કામ કરતા અને ત્રણ ત્રણ લગ્ન કરનાર પ્રમોદ પટેલની હત્યા નો ભેદ ઉકેલી ક્રાઈમબ્રાન્ચે મૃતકની પત્ની કિંજલ અને તેના પ્રેમી અમરતની ધરપકડ કરી છે. કિંજલે પતિનું કાસળ કાઢવાનું કહતા પ્રેમી અમરતે રાજસ્થાનના સુરેશને પ્રમોદની હત્યા માટે રૂ. 5 લાખની સોપારી આપવાનું નક્કી કર્યું હતું. કિંજલના પ્રેમ પ્રકરણને પગલે પતિ પત્ની વચ્ચે તકરાર થતી હતી. પતિ પ્રમોદને છોડી કિંજલ પ્રેમી સાથે રહેવા માંગતી હતી. હત્યામાં સંડોવાયેલા સોપારી કિલર સુરેશ અને તેના સાગરીતની ક્રાઈમબ્રાન્ચે શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના મોહનપુર ગામના પ્રમોદ દેવજી પટેલ માણેકબાગ વિસ્તારમાં શ્રેયસ ફાઉન્ડેશન પાસે આવેલા પ્રણવ એપાર્ટમેન્ટમાં 25 વર્ષીય પત્ની કિંજલ અને 4 વર્ષના પુત્ર સાથે રહેતાં હતા.

પ્રમોદભાઈ છેલ્લા 22 વર્ષથી મહંમદપુરા ખાતે આવેલા નેમિચાર ફાર્મ હાઉસમાં યોગા નર્સરીમાં કામ કરતા હતા.

આ ફાર્મ હાઉસ સેટેલાઈટના શ્યામલ ચાર રસ્તા પાસે રહેતાં સંજય બદ્રીપ્રસાદ આલોકનું છે.

ગત ગુરુવારે રાત્રે પ્રમોદભાઈ ઘરે ના પહોંચતા પત્ની કિંજલે તેના માસા હસમુખ પટેલ અને પિતરાઈ દિયર કિરીટ પટેલને જાણ કરી હતી. બન્ને જણા પ્રમોદભાઈને શોધવા માટે ફાર્મ હાઉસ પર ગયા પણ દરવાજો બંધ હોવાથી ઘરે પરત ફર્યા હતા.

આજે શુક્રવારે બન્ને જણા પ્રમોદભાઈના શેઠ સંજય આલોકના ઘરે પહોંચ્યા હતા.

સંજયભાઈએ બન્નેને પ્રમોદભાઈ ગુરુવારે કામ પતાવી સાંજે 6 વાગ્યે નીકળી ગયાનું જણાવ્યું હતું.

સંજય આલોકના ઘરેથી નીકળી હસમુખભાઈ અને કિરીટભાઈ બન્ને નેમિચાર ફાર્મ હાઉસ તરફ પ્રમોદભાઈની શોધમાં નીકળ્યા હતા. ફાર્મ હાઉસથી 100 મીટર દૂર પોલીસ સહિતના લોકો સ્થળ પર ઉભા હતા. હસમુખભાઈ અને કિરીટભાઈ સ્થળ પર પહોંચ્યા અને જોયું તો ઝાડીઓ પાસે લોહીથી ખરડાયેલી હાલતમાં પ્રમોદભાઈની  લાશ પડી હતી. બન્નેએ પોલીસને પોતાની ઓળખ આપી મૃતક પ્રમોદ હોવાનું કહ્યું હતું. બનાવ અંગે પ્રમોદભાઈના ભાઈ જયેશ પટેલને જાણ કરી હતી.

પ્રમોદભાઈને ગળાના ભાગે તેમજ શરીર તિક્ષ્ણ હથિયારના અનેક ઘા મારવામાં આવ્યા હતા. કપડાં પણ લોહીથી ખરડાયેલા હતા. સરખેજ પોલીસે મૃતક પ્રમોદભાઈના નાનાભાઈ જયેશ દેવજી પટેલની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક પ્રમોદના મોબાઈલ ફોન નંબર તેમજ ટાવર લોકેશન અને સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે આરોપીઓને શોધવાની તજવીજ શરૂ કરી હતી.

સરખેજ પોલીસ સાથે પ્રમોદ પટેલની હત્યા નો ભેદ ઉકેલવા ક્રાઈમબ્રાન્ચની ટીમ પણ કામે લાગી હતી.

ક્રાઈમબ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડા, પીએસઆઈ એ.પી.જેબલિયા, એસ.પી.ગોહીલ અને એમ.ડી.મકવાણાએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસને બાતમી મળી કે, પ્રમોદ હત્યામાં તેની પત્ની કિંજલ અને તેનો પ્રેમી અમરત સંડોવાયેલા છે.

જે બાતમીના આધારે પોલીસે બન્નેની પૂછતાછ કરતા તેઓએ હત્યાની કબૂલાત કરી હતી.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ 25 વર્ષીય કિંજલ પટેલ સાથે પ્રમોદે ત્રીજા લગ્ન કર્યા હતા.

બીજી તરફ કિંજલને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢબાલ ગામના અમરત ગોબર દેસાઈ (ઉં,31)સાથે પ્રેમ સબંધો હોઈ પતિ પત્ની વચ્ચે તકરાર હતી.

કિજલને અમરત સાથે રેહવું હોય તેણે પ્રેમીને પતિનો કાંટો કાઢવા કહ્યું હતું.

મૂળ રાજસ્થાનના અને પોતાના મિત્ર એવા સુરેશને અમરતે પ્રમોદની હત્યાનું કામ સોંપ્યું હતું.

જે પેટે રૂ.5 લાખની સોપારી આપવાનું નક્કી થયું હતું.

ગુરુવારે પ્રમોદે પત્ની કિંજલને ફોન કરી ઘરે આવતા મોડું થશે તેમ જણાવ્યું હતું.

કિંજલે આ મેસેજ પ્રેમી અમરતને આપ્યો હતો.  સુરેશ અને અન્ય એક વ્યક્તિને કારમાં લઈ અમરત ફાર્મ હાઉસ પહોંચ્યો જ્યાં થોડે દુર કાર ઉભી રાખી પ્રમોદની રાહ જોતા હતા. પ્રમોદ ટુ વ્હીલર પર આવતા ત્રણે આરોપીઓએ તેણે રોકયો હતો. પ્રમોદને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કર્યા બાદ તેની લાશ ઝાડીઓમાં ફેંકી દીધી હતી અમરતે કામ થઈ ગયાની જાણ પ્રેમિકા કિંજલને કરી હતી. બાદમાં કિંજલ તેના માસાને ફોન કરી પતિ પ્રમોદ ઘરે ન આવ્યાની જાણ કરી નાટક શરૂ કર્યું હતું. આરોપીઓની કબૂલાત આધારે ક્રાઈમબ્રાન્ચે બન્નેની ધરપકડ કરવા તજવીજ કરી ફરાર આરોપી સુરેશ અને તેના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

(8:07 pm IST)