Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લોકડાઉનની અસર

અમદાવાદમાં ઘરેલુ હિંસાના કેસની સંખ્યા વધીને બમણી

લોકડાઉનના કારણે સતત વધી રહેલો તણાવ પતિ-પત્નિના સંબંધોમાં તકરારનું કારણ બની રહ્યો છે

અમદાવાદ, તા.૭: ઘરેલુ હિંસાના કેસમાં પાછલા વર્ષના એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમય કરતા આ વર્ષે કેસ ડબલ થઈ ગયા છે. પોલીસ તથા સમાજશાસ્ત્રી મુજબ, કોરોનાની મહામારીના કારણે લાગુ કરાયેલું લોકડાઉન આ પાછળ કારણભૂત છે. પોલીસના સૂત્રો મુજબ, આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન ઘરેલુ હિંસાના અંદાજે ૨૫૦ કેસો નોંધાયા છે. જયારે પાછલા વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૨૦ જેટલા કેસો નોંધાયા હતા.

એકસપર્ટ્સના કહેવા મુજબ, પતિ અને પત્ની વચ્ચે સતત તકરારનું કારણ વધી રહેલી દહેજની માગણી છે. અન્ય કારણોમાં નોકરી ગુમાવવી, સેલેરી કટ થવી તથા સ્ટ્રેસના કારણે નાના-નાના મુદ્દાઓ પર ઝદ્યડા થાય છે.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, ઘરેલુ હિંસાના કેસો અચાનક વધવા પાછળનું એક કારણ લોકડાઉન બાદનો તણાવ છે. તેઓ કહે છે, એવું મનાય છે કે પરિવાર જો સાથે રહે તો તેમના સંબંધ મજબૂત બને છે, પરંતુ હાલની સ્થિતિએ આપણી સામાજિક અને આર્થિક લાઈફને ઘણી અસર કરી છે. લોકડાઉન પહેલા પણ જીવનમાં તણાવ હતો, પરંતુ વ્યકિત કામથી બહાર જાય ત્યારે તે ઘરના પ્રોબ્લેમ્સ ભૂલી જતો હતો.

જાની કહે છે, ઘરમાં જ રહેવાના કારણે વ્યકિતનું સાચો વ્યકિતત્વ બહાર આવી રહ્યું છે. મિડલ કલાસ પોતાની નોકરી ગુમાવી રહ્યો છે અને પરિણામે પતિ અને પત્નીમાં પૈસા સંબંધિત તકરાર થઈ રહી છે. કેટલાક નોકરી ગુમાવવા અને આવક ઘટવાથી સ્ટ્રેસમાં છે. આપણા સમાજમાં પતિ પોતાની પત્ની અથવા બાળકો પર ગુસ્સો કાઢે છે અને આવું જ થયું છે. પરિણામે નાની બાબતમાં પણ ઝઘડા થઈ રહ્યા છે. મુખ્ય વાત તો એ છે કે આપણા સમાજમાં મિડલ કલાસ સોસાયટીમાં સ્ટ્રેસ દૂર કરતું મિકેનિઝમ નથી.

ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અજય ચૌધરી ઘણીવાર લોકોની સમસ્યા સાંભળવા માટે કન્ટ્રોલ રૂમમાં બેસે છે. તેઓ કહે છે, કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી ઘરેલુ હિંસાના બનાવો વધી રહ્યા છે તે સાબિત કરવા માટે એક અભ્યાસ થવો જોઈએ. જોકે તેઓ કહે છે આવી ઘટનાઓ માટે ઘણા કારણો છે અને તેમાંથી એક લોકડાઉન પણ છે.

(1:09 pm IST)