Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વડોદરામાં સફાઇ સેવકનું કોરોનાથી મૃત્‍યુ થયુ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ મદદ ન કરાતા પરિવારજનોમાં ભારે આક્રોશઃ કાઉન્‍સીલર અને કાર્યકરો મદદે આવ્‍યા

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા પાલિકાના સફાઈ સેવકનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. જો કે પાલિકાતંત્રએ કોઈપણ પ્રકારની મદદ નહિ કરતા પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આર. એસ. પી ના કાઉન્સિલર રાજેશ આયરે અને તેમના કાર્યકરોની મદદથી પરિવારે મૃતકની અંતિમવિધિ કરી હતી. વડોદરા મહાનગરપાલિકા માં સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ સોલંકીના પરિવારના જણાવ્યા મુજબ ચાર દિવસ અગાઉ મહેન્દ્રભાઈ કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમકોરોન્ટાઇન હતા.

આ દરમ્યાન શનિવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ  મહેન્દ્રભાઈની અંતિમવિધિ માટે પાલિકાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ અધિકારીઓ તરફથી કોઈ મદદ મળી ના હતી. મહેન્દ્રભાઈના પુત્ર દીપકે સ્થાનિક નેતાઓનો પણ સંપર્ક કર્યો. જો કે નેતાઓ પણ મદદે ના આવ્યા.  હા, સલાહ બધાએ આપી. કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવા માટે પરિવાર પાસે કોઇ સાધન હતું નહીં. છેવટે પરિવારે આર એસ.પી ના કાઉન્સિલર રાજેશ આયરેને જાણ કરતા તેઓ કાર્યકરો સાથે દોડી આવ્યા હતા. રાજેશ આયરે અને તેમના કાર્યકરોએ મહેન્દ્રભાઈની અંતિમવિધિ માટે પરિવારની પડખે રહી તેમને જરૂરી સાધન સામગ્રી પુરી પાડી મદદ કરી હતી.

આ અગાઉ અહીં પ્રશ્નએ હતો કે પહેલા માળેથી મૃતદેહ નીચે કોણ લાવે ? પાલિકાએ તો હાથ અધ્ધર કરી દીધા હતા. બીજી તરફ કોરોનાનો ડર પણ હતો. આવી પરિસ્થિતિમાં રાજેશ આયરેના કાર્યકરોએ પળભરનો વિલંબ કર્યા સિવાય કીટ પહેરી મૃતદેહ પહેલા માળેથી નીચે લાવ્યા હતા. રાજેશ આયરે અને તેમના કાર્યકરો મહેન્દ્રભાઈના અંતિમવિધિ માટે પરિવારની સાથે રહ્યા હતા. જરૂરી વ્યવસ્થા કરી હતી.

 મહેન્દ્રભાઈ એ વર્ષો સુધી નોકરી કરીએ પાલિકા તરફથી  અંતિમ સમયે મદદ નહિ મળતા પરિવારને રંજ છે. બીજી તરફ પરિવાર માટે જીવનું જોખમ ખેડવાની માનવતા દાખવનાર રાજેશ આયરે અને તેમના કાર્યકરો માટે પરિવાર પાસે શબ્દો નથી. કોરોના વિશ્વ માટે પડકારરૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈસેવકોને કોરોના વોરિયર્સ ગણાવ્યા છે. તેમની સેવાને સન્માનવાનું કહ્યું છે, ત્યારે સફાઈ સેવકના પરિવારને તંત્રનો થયેલો કડવો અનુભવ તંત્ર અને  નેતાઓ ની ઇચ્છાશક્તિ સામે અનેક સવાલો ઉભા કરે છે.

(5:11 pm IST)