Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

તલોદના તાજપુર નજીક બે કાર સામસામે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ

તલોદ: શહેરના તાજપુર પાસે બે કાર અથડાતા મૂળ ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામના અને હાલમાં મોડાસા ખાતે રહેતા યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તલોદના હરસોલ-તાજપુરના ડેગમાર તળાવ પંથકના માર્ગ પર આજે સવારે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં હિંમતનગરની સાબર ડેરીમાં નોકરી કરતા પ્રણય ચંદ્રકાંત ચૌધરી (ઉ.વ. ૨૭)નું મોત થયું હતું. મોડાસાથી પોતાની કાર લઈને અમદાવાદ જવા નીકળ્યો હતો. ત્યારે તાલુકાના રોઝડ સ્ટેન્ડની આગળ સામેથી આવતી કાર અથડાઈ હતીજોકે ફરિયાદમાં કરેલા દાવા અનુસાર (દિલીપ પટેલ રહે. મામરોલી)ની કાર બેદરકારીના કારણે રોંગ સાઈડ કાર ધસી ગઈ હતી અને પ્રણય ચૌધરીને કારને ટકકર મારી હતી. જેમાં બંને કારનાં કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં જ તલોદ પોઈન્ટની ૧૦૮ એમ્બ્યુલન્સ તત્કાળ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. જ્યાં ત્રણ ઈજાગ્રસ્તો ભારે ઈજાઓને કારણે કણસતા હતા. આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા રણાસણ પોઈન્ટની ૧૦૮ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ તલોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. જ્યંથી તાબડતોડ ઈજાગ્રસ્તો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

(5:36 pm IST)