Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પતંગબાજો સાવધાન : રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેક નજીક પતંગ ઉડાડવાને લઈને મહત્વના સૂચનો જાહેર

ફસાયેલ પતંગ અથવાતો દોરાને ખેંચીને કાઢવાના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયર તૂટી શકે છે. જેના કારણે રેલ્વે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ શકે

અમદાવાદ :ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.અવનવી પતંગો બજારમાં આવી છે.અને રંબેરંગી પતંગો લોકો માટે આકર્ષણ બની છે. પતંગરસીઓ પણ ઉત્તરાયણની તૈયારીઓમાં લાગી ગયા છે. તો કોરોના વચ્ચે ઉત્તરાયણની ઉજવણી થશે નહીં તેની કોઈ સ્પષ્ટતા આવી નથી બીજી બાજુ ઉત્તરાયણમાં સલામતી પણ મહત્વની બની રહે છે ત્યારે રેલવે વિભાગ દ્વારા પણ રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેક નજીક પતંગ ઉડાડવાને લઈ સૂચનો જાહેર કર્યા છે.

અમદાવાદ રેલવે ડિવિઝનના પી આર ઓ જીતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે અમદાવાદ મંડળના તમામ અનુભાગો પર ઓવરહેડ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયર દ્વારા 25000 વોલ્ટ પર રેલ્વે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.જેના કારણે પતંગ અથવા દોરા વાયર સાથે ફસાય જતા હોય છે.

ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલા પતંગ અને દોરાને દૂર કરવા અથવા તો પતંગ લૂંટવા માટે લોકો જીવને જોખમમાં મૂકે છે. જેના કારણે માનવ જીવન જોખમાય છે. 25000 વોલ્ટના ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલી પતંગોને વાયરમાંથી બહાર નીકાળતી વખતે માનવ જીવન જોખમમાં મુકાઇ શકે છે.

અને ફસાયેલ પતંગ અથવાતો દોરાને ખેંચીને કાઢવાના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયર તૂટી શકે છે. જેના કારણે રેલ્વે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ શકે છે. અને માનવ જીવનને નુકસાન થઈ શકે છે. એટલે લોકો ઉતરાયણના દિવસે રેલવે સ્ટેશન કે ટ્રેક નજીક પતંગ ઉડાડવા માટે તકેદારી રાખે. અને રેલવે દ્વારા સૂચના આપવામાં આવી છે તેનું પાલન કરે.

જો કે પતંગના દોરાઓ પર મેટાલિક પાવડર કોટિંગ કરવામાં આવે છે. જેના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયરની આસપાસ પતંગ ઉડાવતી વખતે માનવ જીવનને નુકસાન થઈ શકે છે. જેના કારણે લોકોને રેલવે તરફથી વિનંતી કરવામાં આવી છે કે રેલ્વે સ્ટેશન પર, રેલ્વે ટ્રેકની નજીક પતંગ ઉડાવતી વખતે દોરામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવાનું ટાળે.

(11:15 pm IST)