Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગુજરાતમાં 18 થી 20 અને 25 થી 29 જાન્‍યુઆરી દરીમયાન ફરી માવઠાની આગાહી આપતા આગાહીકાર અંબાલાલ પટેલઃ ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાથ નહીં આપે તો ઉત્તરાયણની ઉજવણીથી વંચિત રહી જવાશે

ભર શિયાળે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીથી ચિંતા

અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠુ પડશે. રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકશે. આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી કરી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તેમના જણાવ્યા અનુસાર, 18 થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે. 25 થી 29 જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે આવતીકાલથી ગાત્રો થીજાવતી ઠંડીની શક્યતા છે. આ વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકશે. ગુજરાતમાં હાલ કમોસમી વરસાદનો સમય ચાલી રહ્યો છે. 5 થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે તેના બાદ પણ જાન્યુઆરી મહિનામાં બીજીવાર માવઠુ પડવાનું છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 16 થી 19 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે. આ દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે. એટલુ જ નહિ, જાન્યુઆરી મહિનાના અંતમાં 25 થી 29 જાન્યુઆરી સુધી પણ હવામાનનો પલટો રહેશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવશે.

જોકે, 16 છી 19 જાન્યુઆરી સુધી આવનાર વાતાવરણના પલટાની અસર ઉત્તરાયણના તહેવાર પર પણ પડશે. કોરોના મહામારી વચ્ચે જો વાતાવરણે સાથ ન આપ્યો તો લોકો ઉત્તરાયણની ઉજવણીથી પણ વંચિત રહી જશે.

ગુરુવારે 24 કલાક દરમિયાન રાજ્યના 150 થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે. ઠંડીનો પારો ઘટી ગયો છે. ગુજરાતના અનેક શહેરોમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે. મોડી સાંજથી લઈને વહેલી સવાર સુધી વાતાવરણમાં ઠંડી હોય છે અને ધુમ્મસભર્યુ વાતાવરણ છવાયેલુ રહે છે.

(6:02 pm IST)