Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સુરતમાં ડેઈલી કેસ રોજના ૨૫%ના દરે વધવાની શક્યતા

સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : ત્રીજી લહેરમાં હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ખૂબ નીચું છે જે દર્દીને એડમિટ કરવા પડી રહ્યા છે તે પણ ક્રિટિકલ નથી

સુરત,તા.૮ : સુરતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો ૧૩૫૦ના રેકોર્ડસ્તરે પહોંચી ગયો છે. શહેરના ઘોડ દોડ રોડ પર આવેલી સ્ટેટ બેંકમાં ૧૪ કર્મચારીઓને કોરોના થતાં બ્રાંચને સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શહેરની સાથે જિલ્લામાં પણ કેસોનો આંકડો વધી રહ્યો છે. શુક્રવારે સુરત ગ્રામ્યમાં ૧૦૨ નવા કેસ નોંધાયા હતા.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી સુરતમાં ડેઈલી કેસનો આંકડો રોજ ૨૦-૨૫ ટકાના દરે વધે તેવી શક્યતા છે. આ તબક્કો પૂરો થયા બાદ કેસોમાં ઘટાડો આવી શકે છે. હાલની સ્થિતિમાં જિલ્લામાં રોજના ૨૦ હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. ત્રીજી લહેરની પીક ના આવી જાય ત્યાં સુધી પોઝિટિવ કેસમાં ૨૫ ટકા સુધી વધારો સંભવ છે. જોકે, ત્રીજી લહેરમાં હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ખૂબ નીચું છે. જે દર્દીને એડમિટ કરવા પડી રહ્યા છે તે પણ ક્રિટિકલ નથી.

રાજ્યભરમાં આજથી ધોરણ ૧થી ૯ના ઓફલાઈન ક્લાસ બંધ કરી દેવાયા છે. જોકે, સુરતમાં અત્યારસુધી ૯૮ વિદ્યાર્થીઓને કોરોના થઈ ચૂક્યો છે. જેમાંથી પુણાની એલપીડી સ્કૂલના ૧૫, કતારગામની અંકુર વિદ્યાલયના ૧૪, લિંબાયતની છત્રપતિ સ્કૂલના નવ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. શહેરના અઠવા લાઈન્સ વિસ્તારના સંગમ અપાર્ટમેન્ટમાં શુક્રવારે એક જ પરિવારના પાંચ લોકોને કોરોના થતાં તેને ક્લસ્ટર ઝોન ડિક્લેર કરાયો છે.

વરાછામાં આવેલી વર્ષા સોસાયટીને પણ ક્લસ્ટર ઝોનમાં મૂકવામાં આવી છે. અહીં સાત કેસ સામે આવ્યા છે. જ્યારે લિંબાયતની નેચરલ વેલી સોસાયટીમાં એક જ ઘરમાં સાત લોકોને કોરોના થતાં તેને પણ ક્લસ્ટર ઝોન જાહેર કરાઈ છે. સુરતમાં જે ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે તેને જોતાં આરોગ્ય ખાતાના અધિકારીઓ માની રહ્યા છે કે શહેરમાં ૮૦ ટકા કેસ ઓમિક્રોનના હોવાની શક્યતા છે. જે દર્દીઓના RT-PCR કરવામાં આવી રહ્યા છે તેમાંના મોટાભાગનામાં જી જિનની ગેરહાજરી જોવા મળી રહી છે.

જે પેશન્ટને ઓમિક્રોન વેરિયંટનો ચેપ લાગ્યો હોવાનું સૂચવે છે. જિનોમ સિક્વન્સ રિપોર્ટ આવવામાં બે સપ્તાહ જેટલો સમય લાગતો હોવાથી SMCના અધિકારીઓ RT-PCR રિપોર્ટના આધારે ઓમિક્રોનના કેસોનો અંદાજ લગાવી રહ્યા છે.

(8:49 pm IST)