Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા મુખ્યમંત્રી સાથે સાંજની બેઠક અને કલેક્ટર ડી.ડી.ઓ કમિશ્નર સાથે સતત ચર્ચા ચાલુ છે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

મનપા અને આરોગ્ય વિભાગ દ્વારા અગાઉની જેમ કોરોના દર્દીઓ માટે વ્યવસ્થા તથા યુ. એન મહેતાની હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા ધ્યાને લઈ ને મુખ્યમંત્રી સાથે સાંજની બેઠક યોજાય રહ્યાનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જણાવ્યું છે.

રાજ્યમાં કોરોના વકરતા રૂપાણી સરકારે મોટા નિર્ણયો લીધા છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં 10 દિવસથી કોરોના દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશ અને દિલ્લી માં તો સંક્રમણ ખૂબ જ વધ્યું છે. ગુજરાતમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોર ગ્રુપની મીટીંગમાં સતત રીવ્યુ કરવામાં આવે છે. કલેકટર ડીડીઓ, કમિશનર સાથે સતત ચર્ચા કરવામાં આવે છે. મુખ્યમંત્રીની સાંજ ની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી રહી છે. મનપા અને આરોગ્ય વિભાગ દ્વારા જે વ્યવસ્થા પહેલા કરવામાં આવી હતી,તે ફરીથી શરૂ કરવામાં આવી છે. 50% કરતા ઓછો ઊપયોગ કરવો પડે તેવી સ્થિતિ થઈ હતી પણ ફરી કોરોના કેસ વધતા બેડ વધારવા પડ્યા છે.

સુરત શહેરમાં કોરોના બેકાબૂ બનતા શહેરનો રીવ્યુ કરી એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ અને બરોડાની પણ આ અંગે સમીક્ષા કરી હતી. આખા રાજયની પરિસ્થિતિ પર અમે નિર્ણય કરીએ છીએ. અમદાવાદમાં દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલનું આયોજન કરવાનું હોય છે. ત્યારે 12000 બેડની કિડની, યુ એન મેહતાની હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે. બીજા તબક્કામાં વધારે પ્રમાણમાં દર્દી આવી રહયા છે, ત્યારે પથારી વધારવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ બેઠકમાં કૈલાશ નાથન, જયંતિ રવિ, જે વી મોદી સુપરિટેન્ડટન્ટ પણ હાજર રહ્યા હતા. જો કે પંકજ કુમાર પણ આજે કોરોના સંક્રમિત થયા છે. તેમની જગ્યા એ અવંતિકા સિંહની નિમણૂક કરી છે. જો કે અમદાવાદમાં કોરોના વધતા AMC હરકતમાં આવી ગયું છે. કોવિડ હોસ્પિટલના બેડમાં વધારો કરાયો છે. એસવીપી હોસ્પિટલમાં 500 બેડ વધારવામાં આવ્યા છે. જીસીએસ માં 160 બેડ વધારવામાં આવ્યા છે. એસએમએસ હોસ્પિટલમાં 240 બેડ વધારવામાં આવ્યા છે. સીવીલ મેડિસિટી મા 850 બેડ વધારવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં 281 બેડ વધારવામાં આવ્યા છે. મનપા દ્વારા કુલ 2031 બેડ વધારવામાં આવ્યા છે. આ ઉપરાંત સમરસ કોવિડ કેર અને અન્ય જગ્યા પર 650 બેડ વધારાયા છે. અને આ તમામ બેડનો ખર્ચો રાજય સરકાર અને મનપા આપશે.

યુ એન મેહતા હાર્ટ હોસ્પિટલમાં પણ કોવિડ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જયારે યુ એન મેહતા માં હજુ પણ વધુ 130 બેડ વધારવામાં આવશે. સીવીલ કેમ્પસમાં જ કેન્સર હોસ્પિટલમાં પણ કોવિડ સારવાર આપવામાં આવી રહી છે. નવા બિલ્ડીંગમાં વધુ 100 બેડ વધારવા માટે સુચના આપી છે. સીવીલ મેડિસિટી કેમ્પસમાં આ 1332 બેડ વધુ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હાલ આ બેડ માંથી 488 બેડ ખાલી છે. અમદાવાદ કે આખા ગુજરાતમાં નર્સિંગ હોમ માં પણ કોરોના દર્દીઓને પ્રાથમિક સારવાર માટે મંજૂરી આપી છે. પ્રાઇવેટ ડોકટરો સાથે મનપા કામ કરી રહ્યું છે.

રેમડેસીવીર ઇન્જેક્શન 25 થી 30% દર્દીઓને જરૂર પડે છે. આજે નિર્ણય કર્યો છે કે અમદાવાદ માં જ્યાં શક્ય હોય ત્યાં કોમ્યુનિટી હોલ માં તેનું આયોજન કરાશે. જો કે મોતના આંકડા પર નીતિન પટેલે મૌન રાખ્યું હતું. અને કહ્યું હતું કે હાલ આ બાબત રહેવા દો. રેમડેસીવીર નો જથ્થો પ્રાપ્ત થયો છે. જેને રાજય સરકાર ની હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ખાનગી કંપનીઓ એ ડીલરો ને 35 હજાર જેટલા ઇન્જેક્શન ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. જેથી દર્દીઓને તકલીફ પડશે નહિ. હાલ વિકેન્ડ કરફ્યુ અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. રાજ્યમાં રાજકીય સમારંભ, સ્કૂલ બધું જ બંધ છે. અને કડક કાર્યવાહી માટે ગૃહ વિભાગ ને જાણ કરવામાં આવી છે.

(8:04 pm IST)