Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

હાલ ગુજરાતમાં કોરોના વિસ્‍ફોટ થયો છે ત્‍યારે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્‍વી રાખવા ચૂંટણી કમીશનરને રજુઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી કમીશનર સંજય પ્રસાદને લેખીત પત્ર પાઠવી કરી માંગણી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવા લેખીત માંગણી કરેલ છે.  

ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણી જાહેર કરતા તા. ૧૯ માર્ચ, ૨૦૨૧ ના રોજ આપના દ્વારા  પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના સંદર્ભમાં કેટલીક નક્કર હકીકતો પ્રત્યે આપનું ગંભિરતાપૂર્વક  ધ્યાન દોરતા જણાવવાનું કે, અગાઉ રાજ્યની છ મહાનગરપાલિકાઓની જાહેરાત પૂર્વે તે છ મહાનગરપાલિકાની ચૂંટણીઓની સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવે તેવી  કોંગ્રેસ પક્ષ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષની આ અત્યંત વ્યાજબી માંગણીને પણ  રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નહી.  

ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ  સમિતિના એક પ્રતિનિધિ મંડળ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કોવિડ-૧૯ ની મહામારી અને તેની બીજી લહેરને  ધ્યાનમાં રાખીને હાલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ના યોજાય અને વહીવટદાર મુકવામાં  આવે તેવી માંગણી કરવામાં આવેલ.  

તેમ છતાં કોંગ્રેસ પક્ષની આવી વારંવારની ગંભીર રજૂઆત અને માંગણીને અવગણીને રાજ્યમાં  કોવિડ-૧૯ મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું હોવા છતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર  મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી.   

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીની જાહેરાત પછી કોવીડ-૧૯  મહામારીના સંક્રમણમાં જબરજસ્ત વિસ્ફોટ થયેલ છે અને સંક્રમણમાં દિન પ્રતિદિન વિક્રમજનક વધારો  થઈ રહ્યો છે. કોવિડ-૧૯ની મહામારીનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ  લોકડાઉન કરવું પડે તેવા નિર્દેશો આપ્યા છે અને ગાંધીનગર સહિત રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે ૮-૦૦  વાગ્યા થી સવારે ૬-૦૦ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદવાની ફરજ પડી છે. આ સંજોગોમાં ચૂંટણીના  પ્રચાર - પ્રસાર દરમ્યાન પણ પ્રજાજનોમાં પણ એવી લાગણી પ્રવર્તી રહી છે કે વર્તમાન સંજોગોમાં આ  ચૂંટણી મુલત્વી રાખવામાં આવે. પ્રજાજનો ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયાથી અત્યંત નારાજ છે.   

વધુમાં આગામી બે સપ્તાહમાં કોવીડ-૧૯ ની મહામારીના સંક્રમણમાં વિક્રમજનક વધારો થવાનું  તજજ્ઞોનું અનુમાન છે. બીજીબાજુ વેક્સીનેશનની પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલું છે. જે પૂર્ણ થયે  નાગરિકોને સંક્રમણ સામે સુરક્ષા મળશે.   

આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એવી માંગણી છે કે, કોવીડ-૧૯ મહામારીના  સંક્રમણમાં ઘટાડો થાય નહીં અને પરિસ્થિતિ કાબૂમાં આવે નહી ત્યા સુધી ગાંધીનગર  મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવામાં આવે.  

(8:18 pm IST)