Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તિર્થ યાત્રા છે : ભારતના મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે : પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે : પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી

અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ : તાનારીરી ગાર્ડન ખાતે આયોજિત અનંત અનાદી વડનગરનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ : ડોક્યુમેન્ટરીના મુખ્ય સુત્રધાર મનોજ મુંતશિર શુક્લાની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ તા.૮ : અનંત અનાદિ વડનગર ડોક્યુમેન્ટરીના યોજાયેલા તાના-રીરી  ગાર્ડન ખાતે ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસનમંત્રી જી.કિશન  રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા  એ મારા માટે એક  તિર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ ૨૦૦૦ વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ યાત્રાથી મને લાગ્યુ્ં કે આ નગરનું મહત્વ અનોખું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતના મથુરા, ઉજ્જૈન, પટના અને વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં આ નગરની ગણના થશે.

પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં  પ્રેરણાદાયી કામ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું  કે સતત બે હજાર વર્ષોની સાત પ્રાચીન સંસ્કૃતિના સંગમ સમા આ નગરની  મહત્તાને પ્રસ્તુત કરતા સ્ટેટ ઓફ આર્ટ ઓર્કિયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝિયમ તેમજ ૧૬ મી સદીમાં બલીદાન આપનારી તાના-રીરીના  સન્માન માટે તાના-રીરી મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષ ૨૦૨૪ સુધી પુર્ણ થનાર આ બંન્ને પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા ૨૭૭ કરોડનો ખર્ચ થનાર છે.

પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે દેશભરમાં ૧૨ હજારથી વધુ મ્યુઝિયમ કાર્યરત છે. અનેક અત્યાધુનિક સંગ્રહાલય બની રહ્યા છે. પ્રધાનમંત્રી સંગ્રહાલય તેનું ઉત્તમ ઉદાહરણ છે. મંત્રીશ્રી રેડ્ડીએ દેશ ભરમાં જુદા જુદા ૧૨ સ્થળે આકાર લઇ રહેલા થીમ બેઝડ મ્યુઝીયમની વાત કરી હતી જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે.

મંત્રીશ્રીએ રાજપીપળામાં આકાર લઇ રહેલા અત્યાધુનિક મ્યુઝીયમની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડનગર એક એવી હેરીટેઝ સાઇટ છે જ્યાં પ્રાચીન નગર સંસ્કૃતિ,જળ વ્યવસ્થાપન,વેપાર વાણીજ્ય જેવા અનેક ક્ષેત્રોમાં સંશોધનોની વિશાળ તક ધરબાઇને ખડી છે,

મંત્રીશ્રીએ ભારતના સાંસ્કૃતિક વિરાસતના મહત્વને પ્રાધાન્ય આપીને રામાયણ, શ્રી  કૃષ્ણ, જગન્નાથ અને બૌધ્ધ સરકીટ જેવા પ્રવાસન વૈવિધ્યને પ્રસ્તુત કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવ વર્ષના શાશનકાળ દરમિયાન ભારતના સર્વાંગિ વિકાસને દોહરાવી તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતને વિશ્વભરમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે. તેમણે રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા ઉપસ્થિત નાગરિકોને આહ્વવાન કર્યું હતું.

પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઇ બેરાએ  જણાવ્યું હતું કે ભારતનો ઇતિહાસ અત્યંત રોચક અને જાણવા જેવો છે. ઇતિહાસમાં સાત નામ આ નગર ઓળખાતું હતું, વડનગરમાં ૩૬૦ વાવો, ૩૬૦ મંદિરો વગેરે આવેલા હતા. આ નગર બૌધ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આ નગરનો પોતાનો અલગ જ ઇતિહાસ છે. આ નગર અનેક વખત પડ્યું છે ફરીથી ઉભુ થયું છે જે નગરની ઓળખ છે.

પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ઉમેર્યુ્ હતું કે અબુલ ફઝલે આઈને અકબરીમા અને સ્કંદપુરાણમાં  વડનગરનો પ્રાચીન નગર તરીકે ઉલ્લેખ મળે છે. આજે વડનગર જોવાલાયક અને પર્યટન સ્થળ તરીકે વિકસ્યું છે.

અનંત અનાદિ વડનગરના સ્ક્રીનીંગ કાર્યક્રમમાં શ્રી મનોજ મુંનશિર શુક્લાએ જણાવ્યું હતું કે ભારત વસુધૈવ કુટુંબકમ્માં માનવાવાળો દેશ છે. આ દેશનાં ઇતિહાસે ભારતને ભવ્ય બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહાભારતકાળથી આ શહેરનું મહત્વ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ નગરને સાશ્વત કહ્યું છે..આ ચમત્કાર નગરીમા હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે.

શ્રી મનોજ મુંતશિર શુક્લાએ ઉમેર્યું હતું કે સાત વાર આ નગરી પડી અને ઉભી થઇ છે.આ નગરીએ દેશને યશસ્વી પ્રધાનમંત્રી આપ્યા છે.

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે ,તાના-રીરી સહિત વિવિધ સાત સ્થળોએ  અનંત અનાદિ વડનગરનાં સ્ક્રીનીંગનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કિર્તી તોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, પ્રેરણા સ્કુલ, બી.એન.હાઇસ્કુલ, અમરથોળ દરવાજા,વડબારા પરા વિસ્તરામાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 અનંત અનાદિ વડનગરના ના કાર્યક્રમમાં  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી, મહેસાણા સાંસદ  શારદાબેન પટેલ, રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર, સામાજિક અગ્રણી સોમભાઇ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પરમાર, ધારાસભ્ય સર્વશ્રી  કરશનભાઇ સોલંકી, મુકેશભાઇ પટેલ, સુખાજી ઠાકોર, સરદારભાઇ ચૌધરી, કે.કે.પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ જ્હા, પ્રદેશ અગ્રણી રત્નાકર, જિલ્લા અગ્રણી ગીરીશભાઇ રાજગોર, જિલ્લા કલેકટર એમ. નાગરાજન, પ્રવાસન નિગમના સ્વરૂપ પારગી, રમત ગમત વિભાગના કે.એસ.વસાવા, યુવા સેવાના ડી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, વ઼ડનગરના પ્રબુધ્ધ નાગરિકો,જિલ્લાના પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ સાહિત્ય અને ઇતિહાસ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:42 pm IST)