Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ચોમાસામાં વરસાદથી નવા બનેલા રસ્‍તાઓ તૂટ્‍યા તો કોન્‍ટ્રાક્‍ટરનું આવી બનશે

આઠ મહાપાલિકાના પ્રિ-મોનસુન એક્‍શન પ્‍લાનની સમીક્ષામાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે આપ્‍યા આકરા આદેશઃ વરસાદની બદલાયેલી પેટર્નને ધ્‍યાનમાં રાખી એક્‍શન પ્‍લાનમાં જરૂરી વ્‍યવસ્‍થા કરવા સૂચના અપાઈ

અમદાવાદઃ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ દરમિયાન શહેરોમાં જળ બંબાકાર જેવી સ્‍થિતિ ન સર્જાય તે માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ગઇકાલે રાજયની આઠેય મહાપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ વર્ષ બનાવેલા નવા રસ્‍તાઓ જો ચોમાસામાં તુટશે તો કોન્‍ટ્રાક્‍ટર સાથે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજયની ૮ મહાનગરપાલિકાઓના મ્‍યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાન-૨૦૨૩ અન્‍વયે જે પ્રિ-મોન્‍સુન એક્‍શન પ્‍લાન તૈયાર કર્યા છે. તે અંગે આ બેઠકમાં વિસ્‍તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍પષ્ટ દિશાનિર્દેશો આપ્‍યા હતા કે બદલાયેલી વરસાદી પેટર્નને ધ્‍યાને રાખીને આ એક્‍શન પ્‍લાનમાં જરૂરી વ્‍યવસ્‍થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે. તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્‍સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્‍કાલિક ધ્‍યાન કેન્‍દ્રીત કરવા સૂચનાઓ આપી હતી. ખાસ કરીને માર્ગો-રસ્‍તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહીં તેવી તાકીદ કરતાં કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્‍તાઓમાં જો કોઇ ક્ષતિ ઊભી થાય તો સંબંધિતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં આવે નહીં.

ભૂપેન્‍દ્રભાઈ પટેલે મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્‍યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્‍વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્‍યો હતો. તદ્દઅનુસાર પ્રિ-મોન્‍સુન એક્‍શન પ્‍લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્‍ય નિકાલની વ્‍યવસ્‍થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્‍કતને દૂર કરવાની કામગીરી, ૨૪ કલાક સેન્‍ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટી.વી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્‍થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્‍યવસ્‍થાપન, આરોગ્‍ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્‍યુનિકેશન સિસ્‍ટમ સહિતના માઇક્રો પ્‍લાનીંગથી મુખ્‍યમંત્રીને માહિતગાર કરાયા હતા.

મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે. તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. એટલું જ નહીં, ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્‍થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો રિહેબીલીટેશન ટીમ, સલામત સ્‍થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી.

(5:44 pm IST)