Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

થરાદની નર્મદા કેનાલ ઉપરથી મહાકાય રિએક્‍ટરને પસાર કરવા માટે કામચલાઉ બ્રિજ 4 કરોડના ખર્ચે બનશે

આ બે મહાકાય રિએક્‍ટરને દહેજથી રાજસ્‍થાન પહોંચાડવાનો ખર્ચ 20 કરોડ જેટલો થશે

બનાસકાંઠાઃ ભરૂચના દહેજથી રાજસ્‍થાન મોકલાઇ રહેલા બે મહાકાય રિએક્‍ટર થરાદથી કેનાલ પરથી પસાર કરવા માટે કામચલાઉ બ્રિજ ચાર કરોડના ખર્ચે બનશે. થરાદમાં આ મહાકાય રિએક્‍ટરને લોકો જોવા ઉમટી પડયા છે. બ્રિજ બનાવવા માટે 300 ટન વજનની 25 મીટર ઉંચી ક્રેઇનની મદદ લેવાઇ છે.

ભરૂચના દહેજથી રાજસ્થાન મોકલાઈ રહેલા બે મહાકાય રિએક્ટર બનાસકાંઠા પહોંચ્યા છે. થરાદમાં છેલ્લા 20 દિવસથી મહાકાય રિએક્ટર પડ્યા રહેતા લોકો આખરે નિહાળવા પહોંચ્યા. આ મહાકાય રિએક્ટર 200 કિલોમીટર અંતર કાપી સાત મહિને થરાદ પહોંચ્યા છે. HPCLના મેઘા ટ્રાન્સપોર્ટસ્ટેશનની ટીમ દ્વારા આ મહાકાય રિએક્ટરને રાજસ્થાનના બાડમેર પહોંચાડવામાં આવશે. આ બંને મહાકાય રિએક્ટરોને થરાદની નર્મદા કેનાલ ઉપરથી પસાર કરવું મુશ્કેલ બન્યું છે. કારણ કે, નર્મદા કેનાલનો પુલ 400 ટન વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે હવે આ રિએક્ટરને પસાર કરવા મોટી જહેમત દહેજ સ્થિત ઇઝેક હીટાચી જોસેન લિમિટેડ કંપની દ્વારા ઉપાડવામાં આવી છે. આ માટે થરાદમાં નર્મદાની કેનાલ ઉપર હાલ તો કામચલાઉ બ્રિજ બનાવવા 300 ટન વજનની 25 મીટર ઊંચી ક્રેનની મદદ લેવાઈ રહી છે. દહેજથી રાજસ્થાન મોકલાવી રહેલા બે રિએક્ટરોને નુકસાન ન પહોંચે તે રીતે નવો લોખંડનો બ્રિજ નર્મદા કેનાલ ઉપર બનાવી 12 ઓગસ્ટે પસાર કરવામાં આવશે. અંદાજિત 4 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવી આ રિક્ટરને પસાર કરવામાં આવશે. જોકે, આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ 20 કરોડ આવવાનો છે.

થરાદ આવીને અટકી પડ્યુ રિએક્ટર

દહેજ સ્થિત કંપનીમાં બનાવેલ બે મોટા ભારેખમ રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી કંપનીમાં બાયરોડ લઈ જવામાં આવી રહ્યા છે, જે ભારેખમ રીએક્ટર્સ થરાદ ખાતે પહોંચતા થરાદના નર્મદા કેનાલ પરથી પસાર ન થઈ શકતા ત્યાં જ અટકી પડ્યા છે. થરાદની નર્મદા કેનાલમાં 12 દિવસ પાણી બંધ રખાઈ કેનાલ ઉપર 4 થી સવા ચાર કરોડના ખર્ચે 300 ટનનો લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે બ્રિજ બન્યા બાદ બે રિએક્ટર્સને તેના ઉપરથી પસાર કરીને રાજસ્થાન લઈ જવાશે.

મશીનને રાજસ્થાન પહોંચાડવાનો ખર્ચ 20 કરોડ

દહેજ સ્થતિ ઇઝેક હીટાચી જોશેન લિમિટેડ કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદ્રાની રિફાઇનરીમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઈને આ બે મહાકાય મશીનરીની ટ્રાન્સપોર્ટેશન જર્ની ખૂબ જ ચેલેન્જ ભરી રહી છે. આ મહાકાય રીએક્ટર્સને અત્યાર સુધી 200 કિમીનું અંતર કાપતા 7 મહિના લાગ્યા છે. આ રીએક્ટર્સને ડિસેમ્બર 2021 માં દહેજથી શીપ દ્વારા રવાના કરી મુન્દ્રા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 7 મહિના પહેલા મુન્દ્રાથી બાય રોડ રવાના કરાયા હતા. જેને મુંદ્રાથી થરાદ આવતા 7 મહિના લાગ્યા છે. જેના માટે અલગથી 28 બાયપાસ રોડ બનાવવામાં આવ્યા હતા, જે રીએક્ટર્સ સાથે 50 માણસોની ટીમ મોજૂદ છે, જેમાં કંપનીના એન્જિનિયરો, મિકેનિકલ, લોજિસ્ટિક તેમજ ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સામેલ છે. જોકે હવે આ હેવી મશીનરી થરાદ ખાતે પહોંચતા થરાદનો નર્મદા પુલ પસાર કરવા માટે કંપનીના એન્જીનિયરો અને ટેક્નિશનો માટે એક મોટો પડકાર સામે આવીને ઉભો રહેતા આ મહાકાય મશીનોને અહીં જ રોકી દેવામાં આવ્યા છે. હાલ થરાદ સુધી પહોંચેલા બન્ને રીએક્ટર્સને હવે નર્મદા કેનાલ પાર કરાવવાની છે. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે આ એક રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે. જેથી નર્મદાનો પુલ તેનું વજન ન સહન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા હવે એન્જિનિયરો દ્વારા 4 કરોડના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન વજનનો લોખંડનો ફોલ્ડિંગ પુલ બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને નર્મદા કેનાલનું પાણી 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. લોખંડના બ્રિજનું કામ રાતદિવસ કરાઈ રહ્યું છે. જોકે, મશીનનો દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અંદાજે 20 કરોડ આવશે.  

થરાદની કેનાલ પાસ કરાવવી મોટી ચેલેન્જ

ઇજેક હીટાચી જોશેન લિમિટેડ કંપની કંપનીના યુનિટ હેડ બ્રિજેશ રાયે આ વિશે જણાવ્યું કે, હાલ થરાદ સુધી પહોંચેલા બન્ને રીએક્ટરોને હવે થરાદની નર્મદા કેનાલ પાર કરાવવાની છે. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે એક રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે. બે રીએક્ટર પૈકી 352 ટાયર ધરાવતા રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને 448 ટાયર ધરાવતા બીજા રીએક્ટરનું વજન 1148 મેટ્રિક ટન છે. જે એક્શલ સાથે 1396 મેટ્રિક ટન છે, જેમાં સૌથી મોટાની ઊંચાઈ 6.5 મીટર, જ્યારે પહોળાઈ 8.5 મીટર અને લંબાઈ 4.5 મીટર છે. જેથી થરાદની નર્મદા કેનાલનો પુલ તેનું વજન સહન કરી શકે તેમ ન હોવાથી આ મહાકાય રીએક્ટર્સ થરાદ ખાતે અટવાયા હતા. હવે એન્જીનિયરો દ્વારા 4 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જોકે તેને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ અલગ થશે.

12 દિવસથી કેનાલનું પાણી બંધ કરાયું

ફોલ્ડિંગ સ્ટ્રક્ચરના મુખ્ય પાંજરા જ 25 ટન વજન ધરાવશે, નર્મદા કેનાલ ઉપર પુલ બનાવવા માટે 300 ટન અને 50 ટનની ક્ષમતા ધરાવતી બે ક્રેનની મદદથી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જેનું વજન 350 ટન અને ઊંચાઈ 25 મીટર છે. કેનાલ ઉપર બની રહેલા લોખંડના બ્રિજની બંને સાઈડ પર ડબ્લ્યુ એમ એમ મટીરીયલ નાંખીને રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. મહાકાય રીએક્ટરને કેનાલ પાર કરાવવા 12 દિવસ માટે નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે થરાદ, વાવ અને રાજસ્થાનના છેવાડાના ગામડાઓને પીવાના પાણીની હાલ પૂરતી હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે કેનાલ ઉપર લોખંડનો ફોલ્ડિંગ બ્રિજ બન્યા બાદ બંને રીએક્ટરોને કેનાલ પાર કરાવવામાં આવશે. જોકે રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી સુધી આ રીએક્ટરો પહોંચાડવા હજુ કેટલો સમય લાગશે તે નક્કી નથી, પરંતુ ત્યાં સુધી પહોંચાડવાનો અંદાજીત ખર્ચ 20 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

દહેજથી નીકળેલ મહાકાય વિશાળ રીએક્ટર્સ થરાદ આવી પહોંચતા અને તે થરાદમાં અટવાતા કેનાલ ઉપર લોખંડનો બ્રિજ બનાવવાનું શરૂ કરાતાં થરાદ અને આજુબાજુના ગામોના લોકો આ મહાકાય રીએક્ટર્સ અને બ્રિજના નિર્માણના કામને જોવા ઉમટી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા જીવનમાં અમે ક્યારેય આવું વિશાળ મશીન જોયા નથી જેથી જલ્દીથી બ્રિજનું કામ પૂરું થાય અને આ મશીનો અહીંથી પસાર થાય તો નર્મદા કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવે.

(5:50 pm IST)