Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ગુજરાતમાં કોરોના કહેર વચ્‍ચે પણ મુખ્‍યમંત્રી-ભાજપ પ્રદેશ પ્રમુખ વચ્‍ચે બેઠક યોજાઇ

બેઠકમાં ચિંતન બેઠક-સંગઠન તેમજ રાજયના વિકાસના મુદ્દાની ચર્ચા હાથ ધરાઇ જો પ્રદેશ અધ્‍યક્ષ પાટીલનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવશે તો મુખ્‍યમંત્રીની ફરીથી આઇસોલેટ થવાની તૈયારી

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણી (Vijay Rupani) તથા ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R. Patil) વચ્ચે આજે સી.એમ. બંગલે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચિંતન બેઠક સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ હોવાની માહિતી મળી છે. આ જ રીતે હવે દર મંગળવારે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન જળવાઇ રહે તે માટે બેઠક યોજાશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

સી.આર. પાટિલના કોરોનાની વાતે ચકચાર જગાવી

દરમિયાનમાં બપોરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યો હોવાની વાતે ભારે ચકચાર જગાવ્યો હતો. જો કે તેમણે તબિયત સારી હોવાની સાથે તેમનો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાના રિપોર્ટ બાકી હોવાની હકીકત ટવીટ કરી હતી. જો તેમને રિપોર્ટ પોઝિટિવ આવે તો અનેક નેતાઓને રિપોર્ટ કઢાવવા પડે અથવા તો પછી આઇસોલેશન થઇ જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

આનંદીબહેન વખતે પણ આ રીતે બેઠકો થતી હતી

આજે મીટીંગ થઇ હોવાથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇને પણ આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય. કેમ કે અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે બેઠક યોજાઇ હતી. તે પછી તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતાં મુખ્યમંત્રીને હોમ આઇસોલેશન થઇ જવું પડયું હતું.

આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે સીએમ બંગલે બેઠક યોજાઇ હતી. અને હવે દર મંગળવારે તેમના વચ્ચે આ જ રીતે સાપ્તાહિક બેઠક યોજાશે તેવી વાતો પ્રકાશમાં આવી હતી. આજની બેઠકમાં ચિંતન બેઠક યોજવા સહિત સંગઠન અને સરકાર વચ્ચે સુમેળભર્યુ વાતાવરણ જળવાઇ રહે તેમ જ સંગઠનમાં જરૂરી ફેરફારથી માંડીને અન્ય કામગીરી સંદર્ભે ચર્ચા થઇ હતી. આમ બેઠકનો મુખ્ય હેતુ સંગઠન અને સરકાર વચ્ચે તાલમેળ જાળવવાનો હતો.

હાલ ઉત્તરપ્રદેશના રાજયપાલ તથા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયમાં પણ કોર કમિટીની બેઠક યોજાતી હતી. જેમાં સરકારના સીનીયર મંત્રીઓ તથા સંગઠનના ઉચ્ચ આગેવાનો વચ્ચે દર મંગળવારે જ સી.એમ. બંગલે બેઠકો થતી હતી. મુખ્યમંત્રી વિજયભાઇના સમયમાં પણ શરૂઆત બેઠકો યોજાતી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી આ બેઠકો બંધ થઇ હતી. તે હવે ફરીથી શરૂ કરવા માટેની ચર્ચા પણ આ બેઠકમાં થઇ હોવાની માહિતી મળવા પામી છે.

(9:59 pm IST)