Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે પાંચમા નોરતે 50 રાજપુત યુવાનોમાં હરસિધ્ધિની તલવાર મહાઆરતી કરશે.

નર્મદા જિલ્લા સહિત વડોદરા, કરજણ ,વાગરા, કીમ, વાલીયાના ૫૦ રાજપુત યુવાનો તલવારબાજી કરી માં હરસિધ્ધિની અર્ચના કરશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા હરસિધ્ધિ માતાજી મંદિરે તારીખ 11મી ના રોજ પાંચમા નોરતે ૫૦ રાજપુત યુવાનો દ્વારા હરસિધ્ધિ માતાજીની તલવાર મહાઆરતીનું આયોજન નર્મદા જીલ્લા રાજપુત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લા સહિત વડોદરા, કરજણ ,વાગરા, કીમ, વાલીયાના ૫૦ રાજપુત યુવાનો તલવાર બાજીના દિલધડક કરતબ કરી માં હરસિધ્ધિની અર્ચના કરશે.
તલવાર મહા આરતીમાં રાજપુત યુવાનો દ્વારા ૮૦ કિલોથી વધુ ફૂલોથી મસાલની આકૃતિ બનાવી તલવાર મહા આરતી કરવામાં આવશે.
કોરોના મહામારીને ધ્યાનમાં લઇ નર્મદા જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તલવાર મહાઆરતીમાં ભાગ લેનાર દરેક રાજપુત યુવાનોએ કોરોના રસીના બે ડોઝ લીધેલા છે, તથા સરકારી ગાઈડ લાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવી તલવાર મહાઆરતી કરશે તેમ રાજપૂત સમાજના અગ્રણી રાજદીપસિંહ ગોહિલ એ જણાવ્યું હતું. રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાજી મંદિરે તારીખ ૧૧/૧૦/ ૨૦૨૧ ના રોજ સોમવારે સાંજે ૬:૩૦ વાગ્યે તલવાર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તલવાર મહાઆરતીમાં મુખ્ય મહેમાન તરીકે રાજવી મહારાણા રઘુવીરસિંહજી ગોહીલ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે

(10:19 pm IST)