Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કેવડીયામાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેવડિયા ખાતે સમીક્ષા બેઠક યોજી :આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે

ગાંધીનગર: લોહ પુરુષ એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી તા. 31મી ઓક્ટોબરે કેવડીયા-નર્મદા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિય ક્ક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણી માટે થઈ રહેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા ભારત સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ આજે કેવડિયા ખાતે કરી હતી.

કેવડિયા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ આ સમીક્ષા બેઠકમા કેન્દ્રીય ગૃહ સચિવએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનની ઉપસ્થિતિમા યોજાનાર કાર્યક્રમો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા કરી હતી અને આયોજન અંગે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યુ હતું.

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કેવડિયા ખાતે થનાર આ ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે

આ બેઠકમાં રાજયના પોલિસ વડા આશિષ ભાટિયાએ રાષ્ટ્રિય એકતા પરેડ સંદર્ભે રાજયમા થઈ રહેલી તૈયારી અંગે માહિતી આપી હતી ત્યારબાદ એડિશનલ ડી.જી.પી રાજુ ભાર્ગવે રાષ્ટ્રિય એકતા પરેડમા જે લોકો સહભાગી થવાના છે એની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી આપી હતી.

જયારે જિલ્લા કલેકટર ડી.એ.શાહે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી માટે સુચારૂ રીતે વ્યવસ્થાપન અને જરૂરી વિગતો આપતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. જિલ્લા પોલિસ વડા હિમકરસિહે આ ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત પાર્કિગ અને અન્ય વ્યવસ્થા માટેની સવિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.

આ બેઠકમાં ઈન્ટેલીજન્સ બ્યુરોના ડાયરેકટર, સી.આર.પી.એફ ના ડી.જી.પી પુન્ય સલીલા શ્રીવાસ્તવ, એમ.એચ.એના જોઇન્ટ ડાયરેકટર અનીષ દયાલ સિગ સહિત રાજય સરકારના સંબંધિત વિભાગના સનદી અધિકારીઓ અને પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

આ કેન્દ્રિય ટીમે સમીક્ષા બેઠક બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની પાદપૂજાની તથા પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા

(11:42 pm IST)