Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો: અમરોલી વિસ્તારના મર્ડરના બે આરોપીઓને ઝડપી લીધા

બે મહિનાથી નાસતા ફરતા સુરતનો મુકેશ ગાયકવાડ અને અમદાવાદના સરસપુરના સાગરને ઝડપી લેવાયા

અમદાવાદ : સુરતમાં થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરાશે.

સુરતના અમરોલી વિસ્તારમાં થયેલ મર્ડર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા ભેદ ઉકેલી કાઢયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણીના આરોપીઓની ધરપકડ કરી છે. આ બંનેમાંથી મુકેશ ગાયકવાડ સુરતનો રહેવાસી છે જ્યારે સાગર અમદાવાદના સરસપુરનો રહેવાસી છે. સુરતના અમરોલી વિસ્તારમાં બે મહિના પહેલા સન્ની શર્મા નામના યુવકનો આરોપીઓએ હત્યા કરી હતી. બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓ અમદાવાદમાં હોવાની માહિતીની આધારે ક્રાઈમ બ્રાન્ચે બન્નેને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

બંને ઈસમોએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે બંને યુવકોની ધરપકડ કરી તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે

(11:23 pm IST)