Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

અમદાવાદ એરપોર્ટ પર મહિનામાં ૯૦૦ ચાર્ટર્ડ ફલાઇટનું આવાગમન થયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સ્‍ટાર પ્રચારકોના આગમનને લઇને એરપોર્ટ ધમધમતું રહ્યું : નવા મંત્રી મંડળની રચના વખતે પણ મોટી સંખ્‍યામાં ચાર્ટર્ડ આવવાની સંભાવના

અમદાવાદ,તા. ૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્‍ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા. ખુદ વડાપ્રધાન સહિત તમામ કેન્‍દ્રીય મંત્રીઓ, સંસદ સભ્‍યો, જુદા-જુદા રાજયોના મુખ્‍યમંત્રીઓ અને પ્રવકતાઓ ગુજરાત આવી પહોંચ્‍યા હતા. આ તમામ રાજકીય અગ્રણીઓ ચાર્ટર્ડ પ્‍લેન અને ચોપરમાં અમદાવાદ આવતા હોવાથી અમદાવાદ એરપોર્ટ છેલ્લા એક મહિનાથી ધમધમતુ થઇ ગયું હતું. છેલ્લા એક મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ૯૦૦થી વધુ ચાર્ટર્ડ પ્‍લેન અને ચોપર ઓપરેટ થયા હતા. અન્‍ય મુસાફરોને કોઇ તકલીફ ન થાય તેની પણ તકેદારી લેવામાં આવી હોવાના એરપોર્ટના હોદેદારો દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે. પરિણામ બાદ નવી સરકારની શપથવિધિમાં પણ મોટી સંખ્‍યામાં રાજકીય અગ્રણીઓ આવવાની સંભાવનાને લઇને એરપોર્ટની ટીમ તૈયારીઓમાં લાગી ગઇ છે.

ગુજરાતની ગાદી મેળવવા તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધુ હતું બે તબક્કામાં થયેલી ચૂંટણીમાં દરેક બેઠકો પર ચૂંટણી સભા, રોડ શો અને રેલીઓના આયોજન કરવામાં આવ્‍યા હતા. અગ્રણી દ્વારા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને જુદા-જુદા સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠકો ગોઠવવામાં આવી હતી. જેને માટે સત્તાધારી પક્ષના તમામ કેન્‍દ્રીય મંત્રીઓ, સાંસદો અને અગ્રણીઓના ગુજરાતમાં ધામા હતા. વિરોધ પક્ષ અને અન્‍ય રાજકીય પાર્ટીઓના રાષ્‍ટ્રીય અને ક્ષેત્રિય નેતાઓ પણ વારંવાર ગુજરાત આવ્‍યા હતા. આ પૈકીના મોટા ભાગના અગ્રણીઓ ચાર્ટર્ડ પ્‍લેનમાં કે ચોપરમાં જ અમદાવાદ આવતા હોવાથી છેલ્લા એક મહિના દરમિયાન અમદાવાદમાં રોજના ૩૦ ચાર્ટર્ડ પ્‍લેન-ચોપર આવતા હોવાથી લગભગ ૯૦૦થી વધુ ચાર્ટર્ડ પ્‍લેન અને ચોપર અમદાવાદમાં ઓપરેટ થયા હતા. વડાપ્રધાનના એરફોર્સના વિમાન સહિત મોટી સંખ્‍યામાં ચાર્ટર્ડ પ્‍લેનના આવાગમનને લઇને અમદાવાદ એરપોર્ટ સ્‍ટાફ વ્‍યસ્‍ત રહ્યો હતો. (૨૨.૭)

એરપોર્ટ પર હવે ઇ-સ્‍કૂટર ઓપરેટ થશે

એરપોર્ટ સ્‍ટાફ અને સુરક્ષાકર્મીઓને ડોમેસ્‍ટિક એરપોર્ટ પરથી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર વારંવાર અવરજવર કરવી પડતી હોય છે. આ માટે તેઓ નોર્મલ સ્‍કૂટર કે બાઇકનો ઉપયોગ કરતા હોય છે. હવે પ્રદૂષણ અટકે તે માટે એરપોર્ટ પર વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગ રૂપે એરપોર્ટ પર ઇલેકટ્રીક સ્‍કૂટર મુકવામાં આવ્‍યા છે. હવે સ્‍ટાફ કે સુરક્ષાકર્મીઓ એરપોર્ટ પર ઇ સ્‍કૂટરનો ઉપયોગ કરશે.

પ્રમુખસ્‍વામી જન્‍મ શતાબ્‍દી મહોત્‍સવને કારણે ધસારો

અમદાવાદમાં પૂ. પ્રમુખ સ્‍વામી મહારાજની જન્‍મ શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી થઇ રહી છે. તેમાં ભાગ લેવા દુનિયાભરમાંથી ભકતો  અમદાવાદ ઉમટી રહ્યા છે. આગામી દિવસોમાં શરૂ થઇ રહેલા મહોત્‍સવ માટે ઘણા ભક્‍તો સેવાનો લાભ લેવા વિદેશી આવી ગયા છે. જે પૈકીના કેટલાક ભકતો મુંબઇ કે દિલ્‍હીથી ચાર્ટર્ડ પ્‍લેનમાં અમદાવાદ આવ્‍યા હતા.

(10:48 am IST)