Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના વેક્‍સીન લીધાનું સર્ટિફીકેટ સોશ્‍યલ મીડિયા ઉપર શેર કરતા ધ્‍યાન રાખજોઃ સાયબર ફ્રોડ થવાની સંભાવના વધુઃ પાનકાર્ડ-આધાર કાર્ડનો દુરૂપયોગ થવાની સંભાવના

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું મોટાભાગના યુવાનો અને લોકોને સારું લાગે છે. લોકો પોતાના સ્ટેટસ પર દરેક દિવસની એક્ટિવિટી પણ શેર કરે છે. જે પણ લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છો તેના હિસાબથી પોતાનું સોશિયલ મીડિયાનું સ્ટેટસ હમેશા અપ-ટુ ડેટ રાખે છે. હાલમાં ભારતમાં પૂરજોશમાં કોવિડ વેક્સિનેશનનું અભિયાન ચાલી રહ્યું છે. ખાસ કરીને યુવાઓ સોશિયલ મીડિયા પર આ વાત જણાવી રહ્યા છેકે તેમણે વેક્સિન લગાવી લીધી છે. આ સારું છે. કેમ કે તેનાથી બીજાને પ્રેરણા અને હિંમત મળે છે. જે કોઈને કોઈ રીતે વેક્સિન લેવાથી ડરતા હોય છે. પરંતુ અનેક લોકો તો કોવિડ સર્ટિફિેકેટ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. જો તમે કે તમારા કોઈ મિત્ર પણ આવું કરવાનું વિચારતા હોય તો તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. કેમ કે ગૃહ મંત્રાલયે લોકોને તેનાથી દૂર રહેવાની સૂચના આપી છે. અને હવે ગુજરાત પોલીસે પણ લોકોને આવું ન કરવા માટે અપીલ કરી છે.

અપલોડ કરવાથી શું જોખમ છે:

ગુજરાત પોલીસે હાલમાં ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ શેર કરીને લોકોને કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ ન કરવાની અપીલ કરી છે. તેની પાછળ તર્ક આપતાં ગુજરાત પોલીસે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પોતાના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને પોસ્ટ કરવા અને પ્રોફાઈલ ફોટો કે સ્ટેટસ નાંખવાથી દૂર રહોય આવું એટલા માટે. કેમ કે આ પ્રમાણપત્રમાં તમારું નામ, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવી વ્યક્તિગત માહિતી હોય છે. અને સાઈબર ગુનેગારો તમારા આ સર્ટિફિકેટનો ઉપયોગ કરી તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

આ સર્ટિફિકેટમાં કઈ-કઈ માહિતી હોય છે:

કોવિડ વેક્સિનેશન પછી આપવામાં આવેલ સર્ટિફિકેટને કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર ન કરવાની સલાહ એટલા માટે આપવામાં આવી રહી છે. કેમ કે આ એક લીગલ દસ્તાવેજ છે જેમાં વેક્સિન લેનાર વ્યક્તિનું નામ, તેની આઈડેન્ટિટી, તેનું રજિસ્ટ્રેશન આઈડી નોંધાયેલું હોય છે. તેમાં વેક્સિન લગાવેલી તારીખ, ડોઝ અને અન્ય જાણકારીઓ પણ રહે છે. જેના કારણે સોશિયલ મીડિયા પર શેર કરવું તમારા માટે હિતાવહ નથી.

વેક્સિનેશન સર્ટિફિકેટ કેમ છે ખાસ:

વેક્સિન લગાવ્યા પછી મળનારું આ સર્ટિફિેકેટ ભવિષ્યમાં તમારા માટે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો તમે વેક્સિન લગાવ્યા પછી મુસાફરી કરી રહ્યા છો તો તમારે આ સર્ટિફિેકેટ બતાવવું પડશે. સર્ટિફિકેટ પર એક QR કોડ આપેલો હોય છે. તેને સ્કેન કરતાં જ વેક્સિન લગાવનારની તમામ માહિતી ગણતરીની સેકંડમાં મળી જશે.

તેનાથી શું-શું નુકસાન થાય છે:

સાયબર એક્સપર્ટ જણાવે છે કે હજુ સુધી ભારતમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી કે આ સર્ટિફિકેટનો કોઈ ખોટો કામમાં ઉપયોગ કરવામાં આવ્યો હોય. આથી તે પકડાયો પણ નથી. જોકે અમેરિકા જેવા દેશમાં તેના ઉપયોગથી વ્યક્તિગત જાણકારી મેળવીને લોકો નકલી ક્રેડિટ કાર્ડ બનાવી રહ્યા છે. જેનું બિલ કોવિડ વેક્સિનેશનને અપલોડ કરનારાના નામ પર હોય છે. જ્યારે અનેક લોકો તેનો ઉપયોગ કરીને તેનું નકલી સર્ટિફિકેટ બનાવી રહ્યા છે. જો તમે કોઈ આવા વ્યક્તિ સાથે હોય, જેની પાસે નકલી સર્ટિફિેકેટ હોય તો અંદાજ લગાવજો. આ ઓછું ખતરનાક નથી.

(5:33 pm IST)