Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાકાળમાં મોતનો મલાજો પણ જળવાતો નથીઃ સ્‍મશાનોમાં અસ્‍થિઓના પોટલા ભરાયાઃ વડોદરા જીલ્લાના પવિત્ર તીર્થસ્‍થાન ચાંદોદ ત્રિવેણી સંગમ ખાતે અસ્‍થિ વિસર્જન માટે સ્‍વજનોનો ધસારો

વડોદરા: જીવલેણ બનેલા કોરોનાએ હાહાકાર મચાવી મૂક્યો છે. પ્રતિદિન કોરોનામાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. સ્મશાનોમાં અને કબ્રસ્તાનોમાં મૃતકોની અંતિમવિધિ માટે કતારો લાગી રહી છે. તે જ રીતે વડોદરા જિલ્લાના પવિત્ર તીર્થ સ્થાન ચાંદોદ નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે મૃતકોના અસ્થિ વિસર્જન માટે મૃતકોના સ્વજનોનો ધસારો જોવા મળી રહ્યો છે.

પ્રતિદિન કોરોનામાં કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. તેનો ચોક્કસ આંકડો ભલે તંત્ર દ્વારા છુપાવવામાં આવતો હોય, પરંતુ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં અંતિમવિધિ માટે મૃતકોની કતારો લાગી રહી છે. હિન્દુઓમાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. જે માટે વડોદરા જિલ્લાના ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ પવિત્ર ત્રણ સ્થાન માનવામાં આવે છે. સામાન્ય દિવસો કરતા કોરોના જ્યારથી શરૂ થયો છે. ત્યારથી મૃત્યુ આકમાં વધારો થયો છે. પરિણામે મૃતકોના અસ્થી વિસર્જન માટે તીર્થસ્થાન ચાંદોદમાં કોરોનામા મૃત્યુ પામતા સ્વજનોનો ધસારો જોવા મળી રહ્યો છે.

અસ્થી વિસર્જન કરવા માટે આવતા સ્વજનો દ્વારા સ્થાનિક પંડિતો પાસે અસ્થીની પૂજા વિધિ કરાવતા હોય છે. અને તે બાદ ત્રિવેણી સંગમ ખાતે બોટમાં બેસીને અસ્થી વિસર્જન કરવા જાય છે. કોરોનાના કારણે મૃત્યુદર વધવાને પગલે લોકોનો ધસારો રહેતા અસ્થીની પૂજા માટે સ્વજનોને વેઈટિંગમાં ઉભા રહેવું પડે છે.

સ્થાનિક પંડિતે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં અસ્થી વિસર્જન માટે આવતા સ્વજનોને અસ્થીની પૂજા માટે રાહ જોવી પડતી ન હતી. પરંતુ કોરોનામાં મૃત્યુ આકમા થયેલા વધારાને કારણે અસ્થિ વિસર્જન માટે આવતા સ્વજનોનો ધસારો રહેવાથી સ્વજનોને અસ્થિ વિસર્જન માટે રાહ જોવી પડે છે.

ચાંદોદમાં અસ્થી વિસર્જન માટે વડોદરાથી આવેલા હિતેશભાઈ ભાવસારે જણાવ્યું હતું કે, અમારા એક સ્વજનનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આથી તેઓના અસ્થી વિસર્જન માટે અમો ચાંણોદ આવ્યા છે. પરંતુ અસ્થીની પૂજા માટે પંડિતો પાસે વેઈટિંગ હોવાના કારણે અસ્થીની પૂજા માટે અમે રાહ જોઇને ઊભા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં અસ્થી પૂજા માટે રાહ જોવી પડતી ન હતી. પરંતુ કોરોનાના કારણે મૃત્યુદર વધવાથી ચાંદોદમાં ધસારો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ચાદોદમાં થયેલા વધારાને પગલે ચાંદોદમાં અસ્થિ વિસર્જન માટે પણ લોકોનો ધસારો રહેતા બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. અને નાના મોટા વેપારીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ ચાંદોદમા મલ્હારઘાટથી ત્રિવેણી સંગમ સુધી બોટમા અસ્થી વિસર્જન માટે લઈ જતા નાવિકોને પણ આજીવિકા મળી રહી છે. તે સાથે પંડિતોને પણ અસ્થિ વિસર્જનની પૂજા માટે કામ મળી રહ્યું છે.

મળેલી માહિતી પ્રમાણે, અગાઉના સમયમાં ચાંદોદમાં અસ્થિ વિસર્જન માટે સવારના સમયમાં જ દર્શનાર્થીઓનો ધસારો રહેતો હોય છે. પરંતુ હવે બપોર બાદ દૂરથી અસ્થી વિસર્જન માટે આવનાર લોકો જ જોવા મળે છે.

(5:36 pm IST)