Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગ્રામ્યસ્તરે કોરોના સંક્રમણ અટકાવવા ગામના તમામ લોકોનું ટેસ્ટિંગ અને વેક્સિનેશન ખૂબ જ જરૂરી: આરોગ્ય કર્મીઓના સહયોગથી તમામ ઘરોનું સર્વેલન્સ કરવું જોઈએ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

જિલ્લાના CHC અને PHC વાળા ગામોમાં 15-15 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવો જેથી એસિમ્ટોમેટિકને સારવાર આપી શકાય: ગામના લોકો સ્વયંભૂ બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂકે : ગામોમાં કોરોના ટેસ્ટિંગ માટે લોક ભાગીદારી પણ કરી શકાય: ગામોમાં આગામી તા. 11 થી 14 એપ્રિલ દરમિયાન વ્યાપક પ્રમાણમાં વેક્સિનેશન થાય તેવા કાર્યક્રમો કરવા જિલ્લા પ્રમુખોને મુખ્યમંત્રીનો અનુરોધ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાઓમાં કોરોનાની કામગીરીની સમીક્ષા અંગે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ-DDO સાથે  વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી
  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને DDOનો સંબોધતા કહ્યું હતુ કે, ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ગામડાઓ પણ પ્રભાવિત થયા છે ત્યારે તમામ લોકો ગભરાયા વિના સાવચેતી સાથે માસ્ક તથા સામાજિક અંતર જાળવે તે સુનિશ્ચિત કરવું પડશે. ગ્રામ્યસ્તરે કોરોના સંક્રમણ અટકાવવા ગામના તમામ લોકોનું ટેસ્ટિંગ અને વેક્સિનેશન ખૂબ જ જરૂરી. આરોગ્ય કર્મીઓના સહયોગથી તમામ ઘરોનું ડોર ટુ ડોર સર્વેલન્સ કરીશુ તો જ સાચી પરિસ્થિતિ ધ્યાનમાં આવશે. 
  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાઓમાં કોરોનાની કામગીરીની સમીક્ષા અંગે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ-DDO સાથે  વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
  તેમણે ભારપૂર્વક કહ્યું હતુ કે, ગામોમાં આગામી તા. 11 થી 14 એપ્રિલ દરમિયાન વ્યાપક પ્રમાણમાં વેક્સિનેશન થાય તેવા કાર્યક્રમો કરવા પડશે. જિલ્લાના CHC અને PHC વાળા ગામોમાં સમાજની વાડીઓમાં 15-15 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવો જેથી માઈલ્ડ-એસિમ્ટોમેટિકને ગામમાં જ સારવાર આપી શકાય. જેથી શહેરોની હોસ્પિટલમાં ભારણ ઘટે. આ પ્રકારનો સફળ પ્રયોગ મોરબી જિલ્લામાં કરાયો છે તેને તમામ જિલ્લાઓ અનુસરે.
મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો કે, ગામના લોકો સ્વયંભૂ બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂકે જરૂર જણાય તો આવા લોકોનું રજિસ્ટર પણ બનાવે. આ ઉપરાંત ગામોમાં કોરોના ટેસ્ટિંગ માટે લોક ભાગીદારી પણ કરી શકાય.
  દરેક ગામ કોરોના મુક્ત ગામ બને તે દિશામાં આપણે નક્કર કામ કરવું પડશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, ગામમાં મહત્તમ ટેસ્ટિંગ અને વેક્સિનેશનનો ગામ લોકો સંકલ્પ કરે તે જરૂરી. આ ઉપરાંત મોટા શહેરોની આસપાસના ગામોમાં ટેસ્ટિંગ ઉપર વધુ ભાર મૂકવો પડશે જેથી કોરોના સંક્રમણ આગળ વધતુ અટકાવી શકાય. કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લાઓમાં કોઈ મોટા કાર્યક્રમ નહીં યોજવા પણ મુખ્યમંત્રીશ્રીએ પદાધિકારીઓને કડક સૂચના આપી હતી.
  મુખ્યમંત્રીએ કોરોનાકાળમાં લોકોની સેવામાં લાગી જવા નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પ્રમુખને હાકલ કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં જળ સંચયના કામોમાં કોઈ જિલ્લા પાછળ ન રહે તે દિશામાં કામ કરવું પડશે. ગામમાં તળાવો ઊંડા કરવાની યાદી તૈયાર કરવી જોઈએ. આ તળાવોની માટી ખેતરોમાં પણ નાખીને જમીનનું લેવલિંગ કરી શકાય. આગામી તા. 30 મે પહેલાં જળસંચયના કામો પૂરા કરવા પડશે. ગામના તળાવો ઉંડા કરી વધુ જળ સંચય થાય તે દિશામાં જિલ્લા પ્રમુખોને આયોજન કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
બેઠકમાં અમદાવાદ, વડોદરા, પાટણ, કચ્છ, મહિસાગર, જૂનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓના પ્રમુખ અને DDOએ તેમના જિલ્લાની કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યાં હતા.
આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગ્રામ વિકાસ સચિવ વિજય નહેરા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. 

(8:44 pm IST)