Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યના બે મહાનગરો - બે નગરોમાં રૂ. ૧૦૯.પ૭ કરોડના વિવિધ વિકાસ કામોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૈદ્ધાંતિક મંજૂરી

જૂનાગઢ-જામનગર-શિહોર અને માણસા નગરોમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો-આંતરમાળખાકીય વિકાસ કામો-રેલ્વે ઓવરબ્રીજના કામો તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો હાથ ધરાશે

 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બે મહાનગરપાલિકાઓ અને બે નગરપાલિકાઓ મળી ચાર શહેરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧૦૯.પ૭ કરોડના વિવિધ વિકાસ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તદઅનુસાર, તેમણે જામનગર મહાનગરપાલિકામાં ર૦ર૧-રરના વર્ષ માટે ભૌતિક આંતરમાળખાકીય વિકાસ કામો અન્વયે રસ્તાના, બ્રીજના, શાળા-કોલેજ બિલ્ડીંગ અને સ્લમ વિસ્તારના કુલ ૩૩ કામો માટે રૂ. ૭૧.પ૯ કરોડના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં નગરો-મહાનગરોમાં જનસુખાકારીના કામો ઉપરાંત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળના કામો, શહેરી સડકના કામો જેવા બહુવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના ૮ કામો માટે રૂ. ૩.રર કરોડની ગ્રાંટ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
એટલું જ નહિ, તેમણે ભાવનગર જિલ્લાની શિહોર નગરપાલિકામાં શિહોરથી વલ્લભીપૂર માર્ગ પર આવેલા લેવલ ક્રોસીંગ રપ૦/બી ઉપર દ્વિમાર્ગીય રેલ્વે ઓવરબ્રીજ બનાવવાના રૂ. ૩૪ કરોડ ૪૦ લાખ ૬૪ હજાર રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
   ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાનગી સોસાયટી જનભાગીદારીથી પેવર બ્લોક અને સી.સી. રોડના ૧૧ કામો માટે કુલ રૂ. ૩૫ લાખ ૮૪ હજાર રૂપિયા મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી સમક્ષ આ કામોની સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્તો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા રજુ કરવામાં આવી હતી.

 

(6:42 pm IST)