Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સિરામિક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયઃ ઊદ્યોગોને પહેલાં બિલમાં રાહત આપ્યા બાદ ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ. ર.પ૦ની રાહતનો સરકારનો નિર્ણય

ગાંધીનગર,તા.૮: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના કુલ ૧૧૬૦ સિરામીક ઊદ્યોગોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ ગેસના બિલમાં પ્રતિ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મિટર રૂ. ર.પ૦ વધારાની રાહત મળશે. અગાઉ વિજય રૂપાણીએ આ ઊદ્યોગોને પ્રતિ એસસીએમ રૂ. ર(બે)ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ. ર.પ૦ની રાહતનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે-એકસપોર્ટ વધારી શકશે સાથે જ વધુ વિદેશી હુંડિયામણ મેળવી શકશે.કોરોના મહામારીની કારણે સિરામિક ઉદ્યોગો મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઇ રહ્યા હોવાની મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ ઊદ્યોગકારોએ કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતાં રાજ્ય સરકારે સિરામિક ઉદ્યોગોને મદદરૂપ થવાના આશયથી ગેસ બિલમાં આ વધારાની રૂ.ર.પ૦ ની રાહતનો નિર્ણય કર્યો છે.૦૮ સપ્ટેબરથી ગેસના ભાવોમાં રૂ. ૨.૫૦ની છુટ બાદ કૂલ રૂ. ૪.૫૦ની રાહત દ્વારા ગેસના નવા ભાવ રૂ. ૨૪.૯૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મિટર થયા છે. આ ભાવ  મે-૨૦૨૦ માસના ભાવની તૂલનાએ ૧૬ ટકા ઓછા છે. મુખ્યમંત્રીના આ નિર્ણય ને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ અને રાજ્યના તમામ સિરામિક ઉદ્યોગ આગેવાનો એ આવકારી ને વિજય રૂપાણી નો આભાર વ્યક્ત કર્યો છે.આમ, રાજ્યના સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં  ૧૬ ટકાનું ડિસ્કાઉન્ટ મળ્યું છે.

(8:42 am IST)